Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રૈયા ગામ જે. કે. પાર્કમાં બીમારીથી કંટાળી કાજલબેન ચાવડાનો ફાંસો ખાઇ આપઘાત

બીજા માળે પરિણીતાને લટકતી જોઇ પરિવારજનોએ દેકારો મચાવ્‍યો

રાજકોટ તા. ર૯: રૈયા ગામ પાસે આવેલા જે. કે. પાર્કમાં બીમારીથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ રૈયા ગામ આલાપગ્રીન સીટીની પાછળ જે. કે. પાર્ક શેરી નં. ૩ માં રહેતા કાજલબેન નરેન્‍દ્રભાઇ ચાવડા (ઉ.વ. ૩૦) એ ગઇકાલે પોતાના ઘરે પહેલા માળે રૂમમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. સાંજ સુધી નીચે ન આવતા તેને બોલાવવા જતા કાજલબેનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમના ઇએમટી ગીરજાબેન તથા પાઇલોટ સુરેશભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ કરતા કાજલબેનનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. ડી. વી. બાલસરા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક કાજલબેનના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. સાસુ-સસરા સાથે રહે છે. તેણે કેન્‍સરની બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્‍યું છે. 

(5:02 pm IST)