Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રૈયાગામ પાસે અટલ સરોવરમાં ન્‍હાવા પડેલા ઇન્‍દીરાનગરના મયુર પારધીનું મોત

મિત્રને ‘ન્‍હાવા જાવ છું' કહીને ગયા બાદ બનાવ : યુવાનના મોતથી આક્રંદ

રાજકોટ,તા.૨૯: રૈયા ગામ પાસે આવેલા અટલ સરોવરમાં ન્‍હાવા પડેલા ઇન્‍દીરાનગરના યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ રૈયાગામ રામાપીર ચોકડી પાસે અટલ સરોવરમાં એક યુવાનની લાશ તરતી હોવાની કોઇએ જાણ કરતા સ્‍થાનિક લોકોએ યુવાનને બેભાન હાલતમાં પાણીમાંથી બહાર કાઢી ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ના ઇ.એમ.ટી. ચિરાગભાઇ તથા પાઇલોટ મેહુલભાઇ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મોત નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.  જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. મહિપાલસિંહ સ્‍થળ પર પહોંચી યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમ્‍યાન તેના મામા નાનાજીભાઇ સ્‍થળ પર દોડી આવ્‍યા હતા. અને આ યુવાનનું નામ મયુર જેન્‍તીભાઇ પારધી (ઉવ.૨૨) (રહે. રૈયાધાર ઇન્‍દીરાનગર) હોવાનું જણાવ્‍યુ હતું. મૃતક બે ભાઇમાં નાનો હતો. તે અરપણીત હતો. તે કલરકામ કરતો હતો.  ગઇ કાલે મયુર તેના મિત્રને ‘ન્‍હાવા જાવ છું' તેમ કહી ઘરેથી નીકળ્‍યો હતો અને ન્‍હાવા ગયા બાદ તેનું ડૂબી જવાથી મૃત્‍યુ નિપજયુ હોવાનું જાણવા મળ્‍યુ છે યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગયો છે.

(3:55 pm IST)