Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

આદિત્યાણાના લખુભાઇ ખુંટી પોરબંદર કોર્ટમાંથી મુદ્દત પતાવી બહાર નીકળ્યા ત્યાં જ હુમલો

ઘાયલ થયેલા મહેર આધેડના ભાઇના હત્યા કેસની તારીખ હતીઃ જેલમાં રહેલા આરોપીના ભાણેજ જયરાજ, વિશ્વરાજ, અદીયો સહિતના શખ્સોએ હુમલો કર્યો

રાજકોટ તા. ૨૯: રાણાવાવના આદિત્યાણા ગામે રહેતાં અને છુટક મજૂરી કરતાં લખુભાઇ વિરમભાઇ ખુંંટી (ઉ.વ.૪૫) નામના મહેર આધેડ ગઇકાલે પોરબંદર કોર્ટમાં મુદ્દતમાં હાજરી આપી બહાર નીકળ્યા ત્યાં જ ધોકા-પાઇપથી હુમલો થતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

લખુભાઇના સગાના કહેવા મુજબ ૨૦૧૮માં લખુભાઇના ભાઇ હાજાભાઇ વિરમભાઇ ખુંટીનું મર્ડર થયું હતું. આ કેસમાં વિંજા રામદેવ સહિતના જેલહવાલે છે. લખુભાઇના ભાઇના મર્ડર કેસની ગઇકાલે પોરબંદર કોર્ટમાં તારીખ હોઇ તેઓ ત્યાં હાજર રહ્યા હતાં. મુદ્દત પત્યા બાદ કોર્ટની બહાર નીકળ્યા ત્યાં જ જેલમાં રહેલા આરોપીના ભાણેજ જયરાજ કેશુ ઓડેદરા, વિશ્વરાજ જાડેજા, અદિયો, બાલઠાકર સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરીદીધો હતો. હત્યાનું મનદુઃખ રાખી આ હુમલો કરાયાનું જણાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:13 pm IST)