Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

મોરબી જિલ્લામાં તસ્કરોનો આતંક : મકનસર સ્વામીનારાયણ મંદિરને નિશાન બનાવ્યું

ટંકારામાં ત્રણ ચોરીના બનાવ બાદ વધુ એક મંદિર નિશાને : પોલીસના નાઇટ પેટ્રોલિંગની તસ્કરોએ પોલ ખોલી નાખી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ : કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય બન્યા છે એક દિવસ પૂર્વે ટંકારા પંથકમાં એક જ રાત્રીમાં ત્રણ મંદિરને નિશાન બનાવ્યા હતા તો ગત રાત્રીના મકનસર ગામે આવેલ સ્વામીનારાયણ મંદિરમાંથી તસ્કરો આભૂષણો અને દાનપેટીની રોકડ ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મકનસરના સ્વામીનારાયણ મંદિરમાં રહેતા અને શિક્ષક તરીકે સેવા આપતા સતીષ હરીલાલ જાકાસણીયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના સમયે તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી મંદિરની દાનપેટી તોડી સાતેક હજારની રોકડ ચોરી ગયા હતા તેમજ ભગવાનને ચડાવેલ ઈમીટેશન આભૂષણો કીમત રૂ ૫૫ હજારની તસ્કરો ચોરી કરી ગયા છે તેમજ ચોરી કરતી વેળાએ મંદિરમાં રહેતા ફરિયાદી સતીશભાઈ તેમજ અન્યના રૂમનો દરવાજો પણ બહારથી બંધ કરી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે તો થર્ટી ફર્સ્ટ નાઈટમાં સઘન પેટ્રોલિંગ પોલીસે કર્યું હોવાના દાવા કરવામાં આવ્યા હતા જોકે પોલીસના નાઈટ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરો ચોરીને અંજામ આપી ગયા હોય પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ખડા થયા છે.

(10:32 am IST)