Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ઠંડી લાગતા જુનાગઢના આંબલીયાના ખેડૂતનું મોત

વાડીએ પાણી વાળી રહ્યા હતા ત્યારે ઠંડીએ ભોગ લીધો : સોરઠમાં કડકડતી ઠંડીએ પ્રથમ ભોગ લેતા અરેરાટી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨ : વાડીએ પાણી વાળતા ઠંડી લાગવાથી જૂનાગઢના આંબલીયાના ખેડૂતનું મોત થતા ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઇ હતી.

સોરઠમાં આ સપ્તાહમાં પ્રારંભથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી હોય લોકો ઠુઠવાય ગયા છે. જો કે, છેલ્લા બે દિવસથી ઠંડીમાં આંશિક ઘટાડો શરૂ થયો છે.

દરમિયાન જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના અશોકભાઇ વલ્લભભાઇ ટાંક (ઉ.૫૦) નામના પ્રૌઢ ખેડૂત ગઇકાલે સવારે તેમની વાડીએ પાણી વાળતા હતા. ત્યારે તેમને કાતિલ ઠંડી લાગી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગે મૃતકના ભાઇ વિપુલ ટાંકે જાણ કરતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પોલીસ જમાદાર એન.આર.ભેટારીયા ચલાવી રહ્યા છે.

(12:52 pm IST)