Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

આવતા સપ્તાહથી ભુજ - અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન દોડશે

સાંસદ વિનોદ ચાવડા સહિતના લોકપ્રતિનિધિઓની માંગણીનો સ્વીકાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧

 ઔધોગિકકરણ અને બબ્બે મહા બંદરો થકી કચ્છમાં અવરજવર વધી છે. તેને ધ્યાને લઈ વધુ પ્રવાસી ટ્રેનો શરૂ કરવા અવારનવાર રજૂઆતો થતી રહે છે. આ રજૂઆતોનો સાનુકૂળ પ્રતિસાદ મળી રહ્યો છે. સાંસદ તથા કચ્છના જન પ્રતિનિધિશ્રીઓ અને લોક માંગણી ને ધ્યાને લઈ તા.૭ એપ્રિલ ૨૦૨૩ થી ભુજ - સાબરમતી વચ્ચે સમર સ્પેશિયલ ઈંટરસીટી શરૂ થશે.     

કચ્છ અને અમદાવાદ વચ્ચે એક જ દિવસમાં પોતાનું કામ પૂર્ણ કરી પરત આવન - જાવન થઈ શકે માટે ખૂબ જ લાંબા સમય થી કચ્છ ની જનતા વતી સાંસદ દ્વારા કેન્દ્ર સરકાર પાસે અવાર - નવાર રજૂઆતો કરવામાં આવતી - કચ્છ ના જન પ્રતિનિધિ ઓ દ્વારા પણ સરકારશ્રી અને સાંસદ પાસે રજૂઆતો કરવામાં આવતા તા. ૭/૪/૨૩ થી ભુજ સાબરમતી (ટ્રેન નંબર - ૦૯૪૫૬) સવારે ૬:૫૦ થી નીકળી બપોરે ૧:૩૦ સાબરમતી પહોંચશે તેવીજ રીતે સાબરમતી થી (ટ્રેન નંબર - ૦૯૪૫૫) સાંજે ૫:૪૦ વાગ્યે રવાના થઈ રાત્રે ૧૧:૫૦ મિનિટે ભુજ આવશે.

બસ અને લક્ઝરીઓ માં કંટાળા જનક પ્રવાસને બદલે લોકોની તકલીફો - સમય તથા મોંઘા ભાડા થી પ્રજાને રાહત થશે. અને વેપાર - વણજ જેવા કાર્યો ના મુખ્ય હબ અમદાવાદ માં કામ પતાવી પરત કચ્છ એક જ દિવસમાં આવી શકાશે.

ભુજ - સાબરમતી સમર સ્પેશિયલ ઈંટરસીટી ટ્રેન શરૂ થતાં સાંસદશ્રી એ ખુશી વ્યક્ત કરતાં ઉપરોક્ત બાબતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી  તથા રેલ્વે મંત્રી  અશ્વિની વૈષ્ણવજી અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ તથા રેલ્વે મંત્રાલય નો આભાર માન્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ પ્રત્યે સદૈવ સંવેદનશીલ અભિગમ ધરાવી કચ્છની જનતાની માંગણીઓને પ્રાધાન્ય અપાય છે તેવું સાંસદ  વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.

(10:57 am IST)