Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કુંડળધામમાં ૩૬ ફૂટની મૂર્તિનું અનાવરણ અને સત્સંગ શિબીરનું ઉદ્ઘાટન કરતા અમિતભાઈ શાહ

દલેર મહેંદીના ભજનોની જમાવટઃ એસ.પી. હર્ષદ મહેતા અને સાહિત્યકાર જોરાવરસિંહ જાદવનું સન્માનઃ મંદિર સંકુલ નિહાળી કેન્દ્રીય ગૃહમંત્રી પ્રભાવિત

રાજકોટ, તા. ૧ : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામ ખાતે તા. ૩૦મીએ  શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું ઉદ્ઘાટન ભવ્યતાથી કરાયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીઅમિતભાઈ શાહ પોતાના પરિવાર સાથે સોમવારે કુંડળધામ શ્રીસ્વામિનારાયણ મંદિરમાં આવ્યા હતા

ગૃહમંત્રીશ્રી અનેક કાર્યક્રમોમાં શામિલ થયા હતા. કાર્યક્રમમાં એમનું કાઠિયાવાડી પાઘ બાંધીને પૂજ્ય સંતોએ સ્વાગત કર્યું.

શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સંતસરોવરમાં ૩૬ ફુટની ભકતેશ્વર મહાદેવજી અને સંતસરોવરમાં શ્રીનીલકંઠવર્ણીની મૂર્તિનું સ્થાપન-પૂજન કરવામાં આવ્યું હતું. જેનું અનાવરણ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીઅમિતભાઇ શાહ તથા ઈશ્વરચરણદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું. અમિતભાઈએ કુંડળધામ સ્વામિનારાયણ મંદીરમાં ભાવથી ભગવાનના દર્શન કરી જેના દર્શનથી રામેશ્વર મહાદેવજીના દર્શનનું ફળ મળે છે તે કુંડલેશ્વર મહાદેવનું અભિષેક પૂજન કર્યું હતું. ત્યારબાદ એમણે મંદિર સંકુલનું અવલોકન કર્યું.  કુંડળધામના પુરાતની દરબારગઢમાં જૂની ગુજરાતી સંસ્કૃતિ અને લોકજીવનની ઝાંખી જોઈને મંદિરના કાર્યને બિરદાવ્યું હતું.

કુંડળધામ ખાતે ૩૦મી શ્રીસ્વામિનારાયણ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન આજે પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી તથા અમિતભાઈ શાહના હસ્તે થયું. આ પ્રસંગે શિબિરના પ્રણેતા પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ જણાવ્યું કે આ શિબિરમાં હજારો યુવાનોને સુસંસ્કારી, ગૌરવાન્વિત અને પ્રામાણિક બનાવવાની શિક્ષા આપવામાં આવે છે.

આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી વિનુંભાઈ મોરડીયાએ બોટાદ જિલ્લાના પ્રભારી તરીકે અમિતભાઈને  આવકાર્યા હતા

આ અવસર પર વિશ્વપ્રસિદ્ધ બોલીવુડ સિંગર દલેર મહેંદી પણ કુંડળધામમાં આવ્યા હતા. દલેર મહેંદીએ એમની આગવી શૈલીમાં  ભજન ગાઈને લોકોના દિલો જીતી લીધા. દલેર મહેંદીજીને કુંડલધામ તરફથી ગાય ભેટ આપવામાં આવી અને ગૃહમંત્રીના હસ્તે સન્માનવામાં આવ્યા

કાર્યક્રમમાં પ્રસિદ્ધ સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવર સિંહજી જાદવનું સાહિત્યમાં યોગદાન માટે અને પોલીસ અધિક્ષક શ્રીહર્ષદ મહેતાનું કોરોના કાળમાં કરેલા લોકોપકારક કાર્યો માટે ગૃહમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

ભાવનગરના શિશુવિહાર ટ્રષ્ટને કુંડળધામ તરફથી પાંચ લાખનો ચેક અમિતભાઇના હસ્તે અર્પણ કરાયો.  પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ આ અવસરે અમિતભાઇને આવકારતા  એમના કાર્યોની પ્રશંસા કરતા રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ પાઠવ્યા કે ભગવાન અમિતભાઇની સાથે રહીને દેશનું ઉત્કર્ષ કરતા રહે. પૂ. સ્વામીએ અમિતભાઇનું સન્માન કર્યું અને ભગવાનની મૂર્તિ ભેટ આપી. સાથે કુંડળધામ સંસ્થા વતી ગૃહમંત્રી કલ્યાણ ફંડમાં ૧૧ લાખનો ચેક પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે અમિતભાઈ શાહને અર્પણ કરાયો હતો.  

(4:58 pm IST)