Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી પુલ દુર્ઘટનામાં ૪ આરોપીઓ રીમાન્‍ડ ઉપર : કોન્‍ટ્રાકટ અનકવોલીફાઇડને અપાયો'તો !

૫ આરોપીના રીમાન્‍ડ નામંજૂર થતા જેલહવાલે : રીનોવેશનમાં કેબલ બદલાયા ન હતા, ફલોરીંગ જ બદલવામાં આવ્‍યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨ : મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે  ઓરેવા કંપનીના મેનેજર સહિતના ૦૯ આરોપીને ઝડપી લીધા હતા જે પૈકી પાંચને જેલહવાલે કરવામાં આવ્‍યા હતા તો ચાર આરોપીને આજે કોર્ટમાં રજુ કરતા તા. ૫ સુધીના પોલીસ રિમાન્‍ડ સોપવામાં આવ્‍યા છે.

મોરબી દુર્ઘટના મામલે ગુનો નોંધ્‍યા બાદ પોલીસે નવ આરોપીને ઝડપી લીધા હતા જે પૈકી ત્રણ સિક્‍યુરીટી ગાર્ડ અલ્‍પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ રહે ત્રણેય દાહોદ વાળા તેમજ ક્‍લાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી રહે. બંને મોરબી એમ પાંચ આરોપીને જેલહવાલે કરવામાં આવ્‍યા છે. જયારે આરોપી મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે રહે. બંને મોરબી અને બ્રીજ રીપેરીંગ કોન્‍ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર રહે. બંને ધ્રાંગધ્રા એમ ચાર આરોપીને ૧૦ દિવસના રિમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્‍યા હતા જેમાં કોર્ટે આરોપીઓના તા. ૫ ને શનિવારે બપોરે ૩ વાગ્‍યા સુધીના રિમાન્‍ડ મંજુર કર્યા છે

મોરબી કોર્ટમાં પોલીસ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓને રિમાન્‍ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યા હતા. આ અંગે કોર્ટ ખાતે સરકારી વકીલ હરસેન્‍દુ પંચાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે ચાર મુખ્‍ય આરોપીના રિમાન્‍ડ કોર્ટે મંજુર કર્યા છે. ૮ મુદાઓ હતા જેને આધારે રિમાન્‍ડ મંગાયા હતા. જેમાંથી અમૂક મુદાઓ અત્‍યંત મહત્‍વના હતા.  તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે ઓરેવા કંપનીના મેનેજરને પુલના રીનોવેશન અને મેનેજમેન્‍ટની જવાબદારી સોંપાવામાં આવી હતી. મેનેજરે પુલના રીનોવેશન માટે ફેબ્રિકેશન કામ જે બે લોકોને સોપ્‍યું હતું તે અનક્‍વોલીફાઈડ હોવાનું તપાસમાં ખુલ્‍યું છે. જેની આ મામલે અન્‍ય કોણ કોણ જવાબદાર છે તે જાણવા રિમાન્‍ડ મંગાયા છે. તપાસ દરમિયાન બેદરકારીમાં કોણ કોણ સામેલ છે ? કોના કહેવાથી આ કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવ્‍યા તે દિશામાં તપાસ ચાલી રહી છે. વધુમાં અગાઉ વર્ષ ૨૦૦૭માં પણ આ જ બે અનક્‍વોલિફાઇડ લોકોને રીનોવેશનના કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવ્‍યો હતો.

સરકારી વકીલે કહ્યું કે FSL દ્વારા તેનો રીપોર્ટ બંધ કવરમાં કોર્ટને સોપ્‍યો હોવાનું જણાવ્‍યું હતું. તેમજ કોર્ટમાં ક્‍યાંય ઓરેવા કંપનીમાં માલિક જયસુખ પટેલ અંગે ચર્ચા થઈ નથી. તેમજ રીનોવેશન કામગીરીમાં પુલના મુખ્‍ય કેબલ બદલવામાં ના હોવાનું અને માત્ર પુલનું ફલોરિંગ જ બદલવામાં આવ્‍યું હોવાનું પણ ડીવાયએસપીની તપાસમાં સામે આવ્‍યાનું સરકારી વકીલે જણાવ્‍યું હતું.

(11:45 am IST)