News of Wednesday, 2nd November 2022
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર : જુનાગઢ ગિરનાર પર્વત ખાતે લીલી પરિક્રમાનો શુક્રવાર મધ્યરાત્રીના ૧ર વાગ્યાથી આરંભ થશે. અને તંત્ર દ્વારા ૩૬ કી.મી.ના રૂટનું નિરીક્ષણ કરાયું છ.ે
શુક્રવારથી શરૂ થતી ગીરનાર પરિક્રમા માટે સાધુ-સંતોનું આગમન શરૂ થઇ ગયું છે. આ પરિક્રમા વિધિવત શરૂ થવાના આડે જૂજ દિવસો બાકી હોય તંત્ર પણ સજજ થયેલ છે.
૪ નવેમ્બર કારતક સુદ અગીયારસથી મધ્ય રાત્રીથી ગરવા ગીરનાર ફકતે ૩૬ કિ.મી.ની પરિક્રમાનો પ્રારંભ થશે. પાંચ દિવસની આ પરિક્રમા માટે જરૂરી તમામ સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર, મનપા અને વન વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ આપી દેવામાં આવ્યો છે.
પરીક્રમા વિધિવત શરૂ થવાને આડે ત્રણ દિવસ બાકી છે પરંતુ પરિક્રમા રૂટ પર સંત મહાત્માઓનું આગમન શરૂ થઇ ચુકયુ છે. પરિક્રમાના પ્રથમ પડાવ ઝીંણાબાવાની મઢી ખાતે સાધુ-સંતો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
ઇટવા ઘોડી પાસે પરોઢિયે એક સંત પદ્માસન મુદ્્ામાં પથ્થર પર ધ્યાન મગ્ન થઇને બેઠા નજરે પડયા હતાં.
પરિક્રમાને લઇ આવતીકાલથી વધારાની એસ. ટી. બસનું સંચાલન શરૂ કરાશે. તા. ૮ નવેમ્બર સુધી લીલી પરિક્રમા માટે એસ. ટી. નિગમ ૬૬ મીની અને ૧૭૮ મોટી બસ દોડાવશે.
ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે તા.૪-૧૧-૨૦૨૨ની મધ્યરાત્રીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ પર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓનું અને પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
નિવાસી અધિક કલેકટર શ્રી એલ.બી. બાંભણીયા, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી સહિતના અધિકારીઓએ ઝીણા બાવાની મઢી થી બોરદેવી સુધીના કઠિન ચઢાણ અને માર્ગ પર ચાલીને શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાના આ રૂટ પર ચાલીને તમામ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. ગિરનાર પરિક્રમાના બાકી અન્ય રૂટ પર મોટર માર્ગે વ્યવસ્થાઓ તપાસી હતી.
ભવનાથમાં પરિક્રમાના પ્રવેશ દ્વારથી ઈટવા ઘોડી, ઝીણા બાવાની મઢી, નળપાણીની ઘોડી, માળવેલા માળવેલાની ઘોડી, બોરદેવી અને પરિક્રમા પૂર્ણ થાય છે તે ભવનાથના દ્વાર સુધી ઉક્ત અધિકારીઓએ ચાલીને તેમજ મોટર માર્ગે સમગ્ર રૂટનું નિરીક્ષણ અને જરૂરી વ્યવસ્થાઓની તપાસણી કરી હતી. અને અંતે પરિક્રમાથીઓની સુવિધાઓ માટે જરૂરી સૂચનાઓ સબંધિત અધિકારીઓને આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનાર પરિક્રમાર્થીઓ માટે પાણી, વીજળી, આરોગ્ય સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ માટેની મોટાભાગની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગિરનાર પરિક્રમાના કુલ ૩૬ કિ.મી.ના રૂટ ઉપર ૧૬ જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે. જે એક પ્રકારે યાત્રિકો માટે હેલ્પ સેન્ટરનું પણ કામ કરશે. અહીંયા વાયરલેસ ટોકી સાથે કર્મચારી ગણ સેવારત રહેશે. ઉપરાંત પ્રાથમિક સારવાર માટેની કીટ અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવશે.
મેન-એનિમલ કોનફલીક્ટ ટાળવા માટે ટ્રેક્ટર - રેસ્ક્યુ ટીમ ૨૪ કલાક કાર્યરત રહેશે. આ માટે વન વિભાગના અન્ય ડિવિઝનમાંથી પણ સ્ટાફને પરિક્રમામાં ફરજ માટે બોલાવવામાં આવ્યો છે.
આ વન વિસ્તારમાં કચરાનો ઉપદ્રવ વધે ન તે માટે ડસ્ટબિન પણ મૂકવામાં આવી છે. ઉપરાંત વન્ય સંપદા અને પ્રાણીઓને નુકસાન ન પહોંચે તે માટે પરિક્રમાર્થીઓ નિર્ધારિત રૂટ બહાર ન જાય તે પણ એટલું જ આવશ્યક છે. આ સાથે જ કુદરતી જળ સ્ત્રોત દુષિત ન થાય તેની કાળજી લેવા અને પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સાધુ સંતો અને તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત બે વર્ષ કોરોના મહામારીના કારણે ગિરનાર પરિક્રમાનું આયોજન શક્ય બન્યું ન હતું. ત્યારે આ વર્ષે ભાવિકોનો ખૂબ ઘસારો જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.