Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જુનાગઢમાં માલીવાડા રોડ પર શૌચાલયના પાણી ઉભરાતા વેપારીઓમાં રોષ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩: જૂનાગઢના માલીવાડા રોડ પર નવા બનેલા શૌચાલયનું ગંદુ પાણી રસ્‍તા પર ઉભરાતા દુર્ગંધ થી વેપારીઓ અને રાહદારીઓ ને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  શૌચાલયના રસ્‍તા પર રહેતા પાણીની સમસ્‍યા અંગે સ્‍થાનિક  વેપારીઓએ અવારનવાર રજૂઆત કર્યા છતાં નિકાલ ન આવતા મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ વ્‍યાપયો છે.

સ્‍થાનિક વેપારીઓના જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા દ્વારા શૌચાલયને નવું બનાવવામાં આવ્‍યું હતું પરંતુ યોગ્‍ય પાઇપ ફિટિંગના અભાવે  દુર્ગંધ મારતું પાણી રસ્‍તાઓ પર વહેતા માલીવાડાથી પંચહાટડી ચોક સુધીના વેપારીઓ તથા રાહદારીઓને ના છૂટકે મોં પર રૂમાલ રાખી બેસવું પડે તેવી સ્‍થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત વાહનો પણ સ્‍લીપ થવાની સમસ્‍યા સર્જાય છે. જેથી વેપારીઓ દ્વારા તંત્રને તાત્‍કાલિક શૌચાલયના ઉભરાતા પાણીની સમસ્‍યાનો નિકાલ લાવે તેવી માંગ ઉઠી છે.

(10:10 am IST)