Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મેંદરડાના માનપુર પાસે બે બાઇક અથડાતાં નાની ખોડિયારના મહેશ પરમારનું મોત

૩૫ વર્ષનો યુવાન મજૂરી કરી ઘરે જતો’તો ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડ્યોઃપરિવારમાં શોકઃ સામેના બાઇક ચાલક મેંદરડાના કરણ પરમારને પણ ઇજાઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૪: મેંદરડાના નાની ખોડિયાર અને માનપુર ગામ વચ્ચેના રસ્તા પર ગત સાંજે બે બાઇક સામ સામે અથડાતાં બંનેના ચાલકને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે જુનાગઢ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ નાખી ખોડિયાર ગામના યુવાને દમ તોડી દીધો હતો. બીજો યુવાન સારવાર હેઠળ છે.
જાણવા મળ્યા મુજબ નાની ખોડિયાર ગામે રહેતો મહેશભાઇ સોમાભાઇ પરમાર (વણકર) (ઉં.વ.૩૫) ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હોઇ મજૂરી કામે ગયો હતો. સાંજે બાઇક હંકારી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે માનપુર-નાની ખોડિયારના રસ્તા વચ્ચે મહેશભાઇનું બાઇક સામેના બાઇક સાથે અથડાતાં તેને અને સામેના બાઇકના ચાલક મેંદરડાના કરણ ભૂપતભાઇ પરમાર (ઉં.૨૧)ને ઇજાઓ થતાં જુનાગઢ સારવાર માટે ખસેડાયા હતાં. ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.
પરંતુ અહિ મહેશભાઇએ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્યુ પામનાર મહેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં બે પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જરૂરી કાર્યવાહી કરી મેંદરડા પોલીસને જાણ કરી હતી.

 

(10:58 am IST)