Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ચોટીલામાં આપની એન્ટ્રી

સ્થાનિક ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામશે!

ચોટીલા, તા.૭: ચોટીલા શહેરમાં આમ આદમી પાર્ટી એ તેના વિવિધ હોદ્દેદારો ની વરણી કરી સ્થાનિક રાજકારણમાં એન્ટ્રીનાં સંકેતો આપેલ છે.

આમ આદમી પાર્ટી દ્વારા ચોટીલા શહેરમાં સંગઠન ની બેઠક યોજી સ્થાનિક હોદ્દેદારો ની જાહેરાત કરી છે.

જેમા શહેર પ્રમુખ તરીકે નિવૃત શિક્ષક બળવંતભાઇ પી. ચાવડા, મહામંત્રી નિલેશભાઇ મકવાણા, ઉપ પ્રમુખ તરીકે વસનબેન ઇશ્યરભાઇ વાલાણી, શહેર મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન કુકડીયા, શહેર અનુ.જાતી. મોરચાના પ્રમુખ તરીકે મનસુખભાઈ બથવાર ની વરણી કરી છે.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ચોટીલા શહેરનાં હોદ્દેદારો ની વરણી કરતા સમયે જીલ્લા ઉપ પ્રમુખ દેવકરણ જોગરાણા અને તાલુકા પ્રમુખ ધીરૂભાઇ મેટાળીયા એ જણાવેલ કે આમ આદમી પાર્ટી તેના સિધ્ધાંત સાથે શહેરનાં રાજકારણમાં કાર્યરત બનશે અને આવનાર ચૂંટણીઓમાં સારી પ્રતિભા ધરાવતા લોકોને ઉભા રાખી ચૂટણી પણ લડાવશે.

ચોટીલા તાલુકા અને શહેરનાં સ્થાનિક રાજકારણમાં આપ ની એન્ટ્રી થતા આવનાર ચૂંટણીઓમાં ત્રિપાખીયા જંગ નાં અણસાર આપી દિધા છે ત્યારે કડકડતી ઠંડીના સમયમાં આવતા દિવસોમાં રાજકારણમાં ગરમાવો આવશે તેવો ચૂંટણી લક્ષી માહોલ જામતો જાય છે.

(11:46 am IST)