Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જામજોધપુરના ધુનડામાં પૂ. હરીરામબાપાના પ્રાગટયોત્સવની સાદગીપૂર્વક ઉજવણી

પૂ. જેન્તીરામના સાનિધ્યમાં ચરણ પાદુકાનું પૂજન-ભજન-સત્સંગના કાર્યક્રમોમાં ભાવિકો ઓનલાઈન જોડાયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૭ :. જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત પૂ. હરીરામબાપાના પ્રાગટયોત્સવની પૂ. જેન્તિરામબાપાના સાનિધ્યમાં મર્યાદીત લોકોની ઉપસ્થિતિમાં સવારથી સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે.

જેમા વર્તમાન કોરોનાકાળની પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારશ્રીની કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પૂ. બાપા દ્વારા અને અનુયાયીઓ દ્વારા પાલન કરી સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવેલ અને પૂ. જેન્તિરામ બાપા દ્વારા તેમના ગુરૂદેવ પૂ. હરીરામબાપાની ચરણપાદુકાનું શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન-અર્ચન કર્યુ હતુ. બાદમાં પૂ. હરીરામબાપા સાથે વિતાવેલ અમૂલ્ય પળોને યાદ કરી તેમના આશિર્વાદથી જીવનમાં આવેલ પરિવર્તનનું ગુરૂકૃપાનું સત્સંગ દ્વારા વર્ણન કર્યુ હતું.

દરમ્યાન આ પ્રાગટ્યોત્સવનુ ફેસબુક દ્વારા લાઈવ પ્રસારણ કરાયુ હતુ. જેમા દેશ વિદેશના સત પરિવારના સત્સંગીઓ જોડાયા હતા અને ધર્મલાભ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા પૂ. જેન્તિરામબાપાના માર્ગદર્શન હેઠળ આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઈ શીલુ તેમજ સતિષભાઈ પરમાર, રાજેશભાઈ શીલુ, હિતેષભાઈ શીલુ, કમલેશભાઈ શીલુ સહિત સત પરિવારના સત્સંગીઓએ જહેમત ઉઠાવી હતી.

(11:42 am IST)