Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કમળાપુર આરોગ્ય કેન્દ્રના ફરજનિષ્ઠ કર્મચારીઓએ મારા પરિવારને કોરોનાથી બચાવ્યો : દર્દી આરોગ્ય સેવાથી ગદગદીત

રાજકોટ તા. ૭ : 'મને કોરોના છે, એની જાણ થતાં તુરંત કમળાપુર પી.એચ.સી.ના ફરજનિષ્ઠ કર્મીઓએ મને સિવિલમાં દાખલ કરાવ્યો અને મને તથા મારા પરિવારને કોરોના સંક્રમણથી બચાવીને મારા પરિવારને અખંડ રાખ્યો છે.' આ શબ્દો છે જસદણ તાલુકાના કમળાપુર ગામના બાવન વર્ષીય નાનજીભાઈ ઉગરેજીયાના... જેઓ તાજેતરમાં જ કોરોનામુકત થયા છે.

નાનજીભાઈ મૂળ કમળાપુર ગામના વતની, પણ રાજીરોટી મેળવવા તેઓ મુંબઈમાં રિક્ષા ચલાવતા હતા. પરંતુ મુંબઇમાં ફેલાયેલ કોરોના મહામારીથી બચવા નાનજીભાઈ મુંબઈથી કમળાપુર પોતાની ઓટો રિક્ષા ચલાવીને આવ્યા હતા. ગામમાં દાખલ થતાં પહેલાં જ કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મીઓ દ્વારા તેમની પ્રાથમિક તપાસ કરીને ૧૪ દિવસ માટે તેમને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.ઙ્ગ

પરંતુ આ સમયગાળા દરમિયાન નાનજીભાઈની તબિયત ખરાબ થતા પી.એચ.સીના આરોગ્યકર્મીઓ તુરંત તેમની સારવાર માટે પહોંચી ગયા. જયાં કોરોના સંક્રમણના લક્ષણો જણાતાં નાનજીભાઈ તથા તેમના પરિવારના તમામ સભ્યોના સેમ્પલ જસદણ સી.અસેચ.સી. ખાતે લેવામાં આવ્યા હતા. જે પૈકી નાનજીભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તથા તેમના પરિવારને સમરસ હોસ્ટેલ ખાતે કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.

સિવિલમાં મળેલ સમયસરની સારવાર, પોષણયુકત આહાર, આયુર્વેદ ઉકાળા અને દવાથી નાનજીભાઈ કોરોનામુકત બન્યા છે, એ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, 'સિવિલમાં મને ખૂબ જ સારી સારવાર મળી, એટલે હું કોરોનામાંથી બચી ગયો. મને તો બીક હતી કે મને કોરોના થયો અને મારા પરિવારને પણ થઈ જશે. પરંતુ પી.એચ.સી.ના આરોગ્ય કર્મીઓએ મને સમજાવ્યું કે સાવચેતીના પગલાઓ લેવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે.  મારા પરિવારને સમરસ હોસ્ટેલમાં ખૂબ જ સારી સુવિધા મળી અને એટલે જ આજે અમે તંદુરસ્ત બન્યા છીએ.'

કમળાપુર આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. ધવલ ગોસાઇ, સુપરવાઇઝર શ્રી ભરતભાઇ ચાવડા અને તેમની સમગ્ર ટીમની પ્રતિબદ્ઘતાને કારણે નાનજીભાઈ કોરોનામુકત બન્યા છે. નોંધનીય છે કે કમળાપુર પી.એચ.સી.ના આરોગ્ય કર્મીઓની સતર્કતા અને ફરજનિષ્ઠાને કારણે કોરોનાના આ કેસ બાદ, કમળાપુર ગામમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી.

(11:54 am IST)