Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

જસદણ તાલુકાની જીલ્લા પંચાયતની શિવરાજપુર અને સાણથલી બેઠકની ચૂંટણી જાહેર થતા રાજકીય ગતિવિધી તેજ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૭ :.. જસદણ તાલુકાની જીલ્લા પંચાયતની બે સીટની ચૂંટણી આગામી તા. ૩ ના રોજ યોજાશે અને મત ગણતરી તા. પ ના થશે શિવરાજપુર અને સાણથલી બેઠકની સીટોના ચૂંટાયેલા ઉમેદવારોનું અવસાન થતાં આ બેઠકો ખાલી પડી હતી.

રાજકોટ જીલ્લા પંચાયતનાં જસદણ તાલુકાનાં શિવરાજપુર બેઠકનાં ચૂંટાયેલા કોંગ્રેસનાં ઉમેદવાર રણજીતભાઇ મેણીયા અને સાણથલી બેઠકનાં ભાજપના ઉમેદવાર નિર્મળાબેન ભુવાનું કોરોનાના લીધે મૃત્યુ થયુ હતું જેથી આ બંને સીટો ખાલી હોય ચૂંટણી પંચે રાજયની અનેક જગ્યાએ યોજાનાર ચૂંટણીની સાથે જસદણ તાલુકાની બે સીટોની તારીખ જાહેર કરતાં જસદણ તાલુકામાં રાજકીય ગતિ-વિધી તેજ બની છે.

ઉલ્લેખનીય છે કે શિવરાજપુર જીલ્લા પંચાયતની બેઠક કોંગ્રેસ પાસે હતી. જયારે સાણથલી બેઠક ભાજપ પાસે હતી આ બંને બેઠકો કબ્જે કરવા બંને પક્ષોએ કમર કસી છે. જો કે આપ પાર્ટી પણ આ બંને બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે તેવુ ચર્ચાઇ રહ્યું છે.

સાણથલી સીટ સામાન્ય સ્ત્રી અને શિવરાજપુર બેઠક બિન અનામત સામાન્ય ઉમેદવાર માટે છે.

બંને સીટો ઉપર દાવેદારો દ્વારા ઉપર સુધી રાજકીય વગ લગાડવાનું શરૂ કરી દીધું છે. 

(3:02 pm IST)