Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ગીર સોમનાથ જીલ્લામાં આદમખોર દિપડાના આતંકથી ૮ દિ'માં ૩ વ્‍યકિતઓ ઉપર હુમલો : ૨ના મોત

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૮: ગિરગઢડાનાં જુના ઉગલા ગામે ૪ વર્ષનાં બાળકને આજે સાંજે દીપડાએ ફાડી ખાધો હતો.મૂળ જાફરાવાદ તાલુકાનાં કડયાળી ગામના બકુલભાઈ મકવાણા ખેત મજૂરી અર્થે ગિરગઢડા તાલુકાનાં નવા ઉગલા ગામે ઘણા વર્ષોથી રહે છે.અહીંના ખેડૂત બાલુભાઈ રાણાભાઈની વાડીએ મજૂરી કરી ગુજરાન ચલાવે છે.બકુલભાઈ છેલ્લા ૧૦ વર્ષથી અહીંની વળી ખાતે જ રહે છે.ખેતરે મકાનની બાજુમાં તેનો ૪ વર્ષિય પુત્ર હસમુખ રમતો હતો.બાજુનાં ખેતરમાં તુવેરનું વાવેતર હતું.અચાનક જ તુવેરનાં છોડ વચ્‍ચેથી આ માનવ ભક્ષી દીપડાએ રમતા બાળક પર હુમલો કરી પોતાના વિકરાળ જડબામાં દબોચી ખેતરમાં લઈ ગયો હતો.ખેતરમાં કામ કરતા આસપાસનાં લોકો જોઈ જતા બુમાબુમ કરવા લાગ્‍યા હતા.આથી દીપડો બાળકને મૂકી નાસી છૂટ્‍યો હતો.બાળકને ગળાનાં ભાગે ગંભીર ઇજા થતાં ૧૦૮ને જાણ થતાં પાયલોટ ધનસુખભાઈ અને ડોકટર વજુભાઈ ટાટકાલી ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા.૧૦૮ મારફતે બાળકને તાત્‍કાલિક ગિરગઢડા સરકારી હોસ્‍પિટલે ખસેડાયો હતો.જયાં ફરજ પરનાં તબીબ જેઠવા એ બાળકને મૃત જાહેર કર્યો હતો.હસમુખ બકુલભાઈ મકવાણા નામનાં બાળકનું દીપડાના હુમલાને કારણે મોત થતા નાનકડા એવા ઉગલા ગામમાં શોક સાથે ભય ફેલાયો છે.

મજૂર વર્ગનાં ફૂલ જેવા બાળકને દીપડાએ ફાડી ખાતા ગ્રામજનોમાં વન વિભાગ સામે આક્રોશ ફેલાયો છે.માત્ર ૮ દિવસ જેટલા ટૂંકા ગાળામાં જિલ્લામાં દીપડાના હુમલાના ત્રણ બનાવો બન્‍યા છે.જેમાંથી ૨ નાં મોત અને ૧ વ્‍યક્‍તિ ઇજાગ્રસ્‍ત બની છે.આવા સમયે વન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

(11:16 am IST)