Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

લખતરમાં મધ્‍યાહન ભોજન યોજના અને આંગણવાડીઓના અનાજનું પુરવઠા વિભાગ દ્વારા ચેકીંગ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૯ : લખતર સ્‍ટેશન રોડ ઉપર આવેલા સરકારી અનાજ પુરવઠા વિભાગના ગોડાઉનમાં મોડી રાત સુધી સુરેન્‍દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી, લખતર મામલતદાર સહિતના અધિકારીઓએ ઉપસ્‍થિત રહીને ચેકીંગ હાથ ધર્યું હતું.

લખતર તાલુકાની સ્‍કૂલોમાં ચાલતી મધ્‍યાન ભોજન યોજના અને આંગણવાડીઓમાં અનાજ, તેલ સહિતની રસોડામાં ઉપયોગી વસ્‍તુઓ સપ્‍લાય કરવા માટેનું અનાજ પુરવઠા સપ્‍લાય વિભાગનું ગોડાઉન લખતરના સ્‍ટેશન રોડ ઉપર આવેલું છે.

આ ગોડાઉનમાં સુરેન્‍દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી, લખતર મામલતદાર સહિતના અધિકારીઓ મોડી રાત્રી સુધી હાજર રહ્યા હતા. તેઓ પાસેથી ઔપચારિક માહિતી મેળવતા તેઓ દ્વારા ગોડાઉનમાં રૂટિન ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હોવાનું જણાવવામાં આવ્‍યું હતું. ત્‍યારે મોડી રાત સુધી અધિકારીઓની ગાડીઓ ગોડાઉન બહાર જોવા મળતા લખતરવાસીઓમાં કુતુહુલ સર્જાયું હતું.

(11:41 am IST)