Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

હવે વરસાદ ન વરસે તો મુશ્‍કેલી સર્જાશેઃ ભાવનગર જીલ્લાના શેત્રુંજી ડેમમાં હવે 3 વખત પિયત આપી શકાય તેટલુ પાણી ઉપલબ્‍ધ હોવાથી ભારે ચિંતા

ભાવનગર: ભાવનગર જીલ્લાના મુખ્ય જળાશયો ગત ચોમાસામાં પડેલા સારા વરસાદને લઇ છલકાઈ ગયા બાદ તાઉ-તે વાવાઝોડામાં પડેલા અતિ ભારે વરસાદને પગલે પુષ્કળ પાણીની આવક થતા જીલ્લાના કાર્યરત ૭ ડેમોમાં હજુ ૫૦% કરતા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જેમાં ભાવનગર સહીત ચાર તાલુકાને પાણી પૂરું પાડતા અને જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં હજુ ૬૫% પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય આ વર્ષે પીવાના પાણીની ખોટ નહિ પડે પરંતુ પિયત માટે માત્ર ૩ પાણ આપી શકાય તેટલો જ જથ્થો ઉપલબ્ધ હોય જેથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ભાવનગર શહેર અને જીલ્લાના કુલ જળાશયોમાં સરેરાશ 58 ટકા પાણી

ગત ચોમાસામાં વરુણદેવ મન મુકીને વરસ્યા હોય ઉપરાંત તાઉ-તે વાવાઝોડામાં પડેલા અતિ ભારે વરસાદને પગલે ભાવનગર જીલ્લાના ૧૨ જળાશયો પૈકી કાર્યરત ૭ જળાશયોમાં હજુ પણ ૫૦% કરતા વધુ પાણી ઉપલબ્ધ છે. જયારે અન્ય ત્રણ ડેમોમાં હાલ નહીવત પાણીનો જથ્થો મૌજુદ છે. હાલ વરસાદ ખેંચાયો છે જેથી જગતનો તાત વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે પરંતુ આ સ્થિતિ વચ્ચે પણ પીવાના પાણીની કોઈ પારાયણ સર્જાય તેમ નથી.

ખેડૂતો માટે માઠા સમાચાર સિંચાઇ માટે માત્ર 3 પિયત જેટલું પાણી ઉપલબ્ધ

ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાંથી શહેર સહિત ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી સિંચાઈ માટે માત્ર ૩ વાર પિયત આપી શકાય એટલુજ પાણી ઉપલબ્ધ હોય સિંચાઈ માટે વરસાદ વહેલો પડે તે જરૂરી છે.

આગામી ઓગષ્ટ સુધી આપી શકાય તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ

ભાવનગર જીલ્લાના મુખ્ય પાંચ મોટા જળાશયો પૈકી પીવાના પાણી અને સિંચાઈ બંને માટે ઉપયોગી અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ એવો શેત્રુંજી ડેમ (Shetrunji Dam)  કે જે હજુ પણ ૨૮ ફૂટ એટલેકે ૬૫% જેટલો ભરેલો છે. ગત ચોમાસામાં શેત્રુંજી ડેમ (Shetrunji Dam) પાંચ વર્ષ બાદ ઓવરફલો થયો હતો અને જે પૂરી સિઝન દરમ્યાન અનેક વખત ઓવરફલો થયો હતો તેમજ સતત ૨૯ દિવસ સુધી ડેમના દરવાજા ખોલી નાખવા પડ્યા હતા.

જ્યારે તાઉ-તે વાવાઝોડામાં પડેલા ભારે વરસાદના પગલે નવા નીરની આવકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગરની જીવાદોરી પૈકીનું બીજું જળ સ્તોત્ર અને રાજવી પરિવારની દેણ સમું બોરતળાવ પણ ગત વર્ષ ઓવરફલો થયું હતું અને જેમાં પણ હજુ ૬૦% જેટલું એટલે કે ૪૦૦ એમસીએફટી જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જીવાદોરી સમાન શેત્રુંજી અને બોરતળાવ ૬૫% જેટલા ભરાયેલા

આંકડાકીય વિગત મુજબ ભાવનગર જીલ્લાના જળાશયોમાં પાલીતાણાના શેત્રુંજી ડેમમાં ૬૪.૫૩ %, રજાવળ ડેમમાં ૩૬.૭૬%, ખારો ડેમમાં ૭૯.૩૩%, હણોલ ડેમમાં ૫૬.૬૧%, મહુવાના માલણ ડેમમાં ૩૭.૪૧%, બગડ ડેમમાં ૫૫.૭૨%, રોજકી ડેમમાં ૫૫.૫૮%, ઉમરાળાના રંઘોળા ડેમમાં ૫૪.૭૪%, ભાવનગરના લાખણકા ડેમમાં ૨૩.૬૪%, તળાજાના હમીરપરા ડેમમાં ૨.૪૮%, જસપરા (માંડવા) ડેમમાં ૧૮.૫૫%, પીંગલી ડેમમાં ૮૧.૫૨% પાણીનો જથ્થો સંગ્રહિત છે. હાલ મુખ્ય જળાશયોમાં ૫૦% કરતા વધુ પાણીનો જથ્થો હજુ પણ સંગ્રહિત હોય આ વર્ષે શહેર કે જીલ્લામાં પીવાના પાણીની સમસ્યા નહિ સર્જાય.

જરૂર પડે સૌની યોજના હેઠળ પણ પાણી ઠાલવવા તંત્ર સજ્જ.

ભાવનગર જિલ્લાના તમામ જળાશયો માં અંદાજે કુલ મળી ૫૮% જેટલો પાણી નો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે સિંચાઇ માટે જળાશયો માંથી માત્ર ૩ પિયત આપી શકાય તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે જરૂર પડે તંત્ર દ્વારા સૌની યોજના હેઠળ ગમે ત્યારે જળાશયોમાં સિંચાઈ માટે જરૂરી પાણી ઠાલવી પડતી મુશ્કેલી દુર કરી શકે તેવા આયોજન હાથ ધરવામાં આવશે.

(5:00 pm IST)