Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રીબડાના અનિરૂધ્‍ધસિંહ જાડેજાની રાજકોટના ઉદ્યોગપતિએ માનહાની કરતા ૫૦ કરોડના દાવા સંબંધે નોટીસ ફટકારી

ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયાએ બદનક્ષીજનક ટીપ્‍પણી કરતાં વકીલ મારફત નોટીસ અપાઇ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૦ : વિધાનસભાની ચુંટણીઓને પત્‍યે ત્રણમાસ જેવો સમય વિતવા છતા ગોંડલની બહુ ચર્ચિત ચુંટણીના પડઘા હજુ સમ્‍યા ના હોય તેમ રીબડામાં જાહેરસભામાં ઉદ્યોગપતિ દ્વારા રીબડા ના અનિરૂધ્‍ધસિંહ મહિપતસિંહ જાડેજા વિરૂધ્‍ધ અપાયેલા કથીત પ્રવચન અંગે અનિરૂધ્‍ધસિંહ જાડેજાએ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયાને રૂ.૫૦ કરોડના માનહાનિ દાવા અંગે એડવોકેટ દ્વારા નોટીસ ફટકારતા થોડો સમય શાંત રહેલુ ગોંડલ ફરી ખળભળી ઉઠ્‍યુ છે.

અનિરૂધ્‍ધસિંહ જાડેજાના એડવોકેટ દિનેશભાઈ પાતર દ્વારા રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયાને નોટીસ પાઠવી જણાવ્‍યુ કે અનિરૂધ્‍ધસિંહ જાડેજા ક્ષત્રીય સમાજના આગેવાન છે. અનેક સેવાકીય અને સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. સમાજમા માન, મોભો અને પ્રતિષ્ઠા ધરાવે છે. ત્‍યારે ગત તા. ૨૬/૧૨/૨૨ ના રીબડા ખાતે પુર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા તથા ધારાસભ્‍ય ગીતાબા જાડેજા ની હાજરી મા યોજાયેલી જાહેર સભા મા તમે અનિરુધ્‍ધસિહ તથા તેમના પરિવાર અંગે બદનક્ષીજનક ટીપ્‍પણીઓ કરેલ હતી, જે વર્તમાન  પત્રો સહીત મીડીયા મા બહોળી પ્રસિદ્ધિ પામી હતી. આમ જાહેરમા અસભ્‍ય ભાષા તથા અપમાનજનક શબ્‍દો દ્વારા અનિરુધ્‍ધસિહ તથા તેમના પરિવાર ના ચરિત્ર ને હલકુ દાખવવા કુચેષ્ટા કરાઇ છે.

વધુમાં ક્ષત્રીય તથા પટેલ સમાજ વચ્‍ચે વૈમનસ્‍ય સર્જાય,પટેલ સમાજના યુવાનો અમારા અસીલને દુશ્‍મનની નજરથી જુએ તથા તેમની હત્‍યા કરવા પ્રેરાય તેવા ભડકાઉ શબ્‍દો પ્રયોગ તમારા દ્વારા કરાયા હતા. આમ આપ દ્વારા અનિરૂધ્‍ધસિંહ તથા તેઓના પરીવારને માનસિક ત્રાસ તથા પ્રતિષ્ઠાને હાની પહોંચી હોય નુકશાન પેઠે રૂ.૫૦ કરોડનુ વળતર નોટીસ મળ્‍યે દિવસ સાતમાં ભરપાઈ કરી બિનશરતી માફીપત્ર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવી, ઉપરોક્‍ત બાબતે કસુર થયે ફોજદારી તથા સિવિલ રાહે કાર્યવાહી કરાશે તેવુ એડવોકેટ દિનેશભાઈ પાતરે જણાવ્‍યુ હતુ.

(11:33 am IST)