Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ચોટીલા ખાતે રાજ્યકક્ષાનાં"ચોટીલા ઉત્સવ-૨૦૨૩"નું આયોજન, બે દિવસ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતનું આયોજન

ચોટિલા ઉત્સવ અંતર્ગત યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ:કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિતિ રહેશે

સુરેન્‍દ્રનગર:સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે બે દિવસનાં રાજ્યકક્ષાના ચોટીલા ઉત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષનાં ચોટિલા ઉત્સવની આવતીકાલથી શરૂઆત થશે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગર દ્વારા  શ્રી ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કિંગ પ્લોટ, ચોટીલા ખાતે આવતીકાલે સાંજે ૦૬:૦૦ કલાકે ચોટીલા ઉત્સવ-૨૦૨૩નો શુભારંભ થશે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા,  નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ ઉત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આવતીકાલનાં રોજ નૃત્ય ભારતી અકાદમી, સુરેન્દ્રનગર દ્વારા ગણેશવંદના, શક્તિપરા માલધારી રાસમંડળ, સુરેન્દ્રનગર દ્વારા ડાંડિયારાસ, ભગિની સેવા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા તલવાર રાસ, વિજયવીર રાસ મંડળ, ભાવનગર દ્વારા કાઠીયાવાડી રાસ, પઢાર મંજીરા રાસમંડળી, નાના કઠેચી દ્વારા લોકનૃત્ય, ભરવાડ માલધારી રાસમંડળ, જોરાવરનગર દ્વારા રાસ, કિલ્લોલ ગ્રુપ, બારડોલી દ્વારા ગ્રુપ ડાન્સ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા હાસ્યરસ, હંસધ્વનિ ગ્રુપ, લીંબડી દ્વારા ભક્તિ સંગીત, શ્રી દેવ ભટ્ટ દ્વારા લોકગીત, ગીત, ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવશે. જ્યારે તા.૧૨ માર્ચ-૨૦૨૩ના રોજ તપસા એકેડેમી, નડિયાદ દ્વારા નર્મદા અષ્ટકમ, આત્મીય યુનિવર્સિટી, રાજકોટ દ્વારા અર્વાચીન ગરબો, ગોવાળિયો રાસ મંડળ, જોરાવરનગર દ્વારા ગોફ રાસ, શ્રી એમ.એન.વિરાણી સાયન્સ કોલેજ, રાજકોટ દ્વારા પ્રાચીન ગરબો, પાંચાળ રાસ મંડળ, થાનગઢ દ્વારા હુડો, શિવશક્તિ આદિવાસી યુવક મંડળ, દાહોદ દ્વારા આદિવાસી તલવાર નૃત્ય, અનુભા ગઢવી અને કિશોરદાન ગઢવી દ્વારા લોક સાહિત્ય, કસુંબલ ડાયરો, ગોપાલભાઈ બારોટ દ્વારા હાસ્યરસ પ્રસ્તુત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫થી ગીર સોમનાથ ખાતે સોમનાથ ઉત્સવ, બનાસકાંઠા ખાતે અંબાજી ઉત્સવ, દ્વારકા ખાતે દ્વારકા ઉત્સવ, ખેડામાં ડાકોર ખાતે ડાકોર ઉત્સવ,  અરવલ્લીમાં શામળાજી ઉત્સવ, પાટણ જિલ્લામાં રાણકીવાવ-ઉત્સવ જેવા અલગ અલગ ૧૧ પવિત્ર યાત્રાધામો ખાતે બે દિવસનાં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે  ઉજવાતા રાજ્યકક્ષાના ચોટીલા ઉત્સવ કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં વિવિધ જૂથો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં નાગરિકોને સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરાયો છે

(12:55 am IST)