Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ભવનાથ જંગલમાં સજોડે ઝેર પીવાની ઘટનાઃ કોલેજીયન છાત્રા બાદ પાદરીયાના યુવાન દેવરામે પણ દમ તોડ્યો

મુંદ્રાના જરપરાની યુવતિ રિધ્ધી અને જુનાગઢના પાદરીયાના દેવરામે ગત ૨૫મીએ સજોડે વિષપાન કર્યુ હતું: યુવતિએ અગાઉ ૧ જુને રાજકોટમાં દમ તોડ્યા બાદ આજે યુવાને પણ અંતિમ શ્વાસ લીધાઃ ગઢવી પરિવારમાં શોક : યુવાન પરિણિત હતોઃ પત્નિ સગર્ભા છે

રાજકોટ તા. ૧૦: જુનાગઢ હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરતી મુંદ્રા પંથકની ગઢવી યુવતિએ ગત ૨૫મીએ જુનાગઢ ભવનાથના જંગલમાં જુનાગઢના પાદરીયા ગામના ગઢવી યુવાન સાથે ઝેર પી લીધું હતું. આ બંને યુવાન-યુવતિ રાજકોટમાં દાખલ હતાં. યુવતિનું ગત ૧ જુને મોત થયા બાદ આજે યુવાને પણ દમ તોડી દેતાં તેના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢના પાદરીયા ગામે રહેતાં અને પશુપાલનનું કામ કરતાં દેવરામ મેમાભાઇ માલાણી (ગઢવી) (ઉ.વ.૨૨) નામના યુવાને ૨૫/૫ના રોજ જુનાગઢ ભવનાથના જંગલમાં ઝેર પીધા બાદ પોતાના ભાઇને ફોન કરીને જાણ કરતાં ભાઇ સહિતના લોકો ત્યાં દોડી જતાં દેવરામ સાથે યુવતિ પણ ઝેર પીધેલી હાલતમાં મળતાં બંનેને જુનાગઢ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જુનાગઢ પોલીસની તપાસમાં આ યુવતિ મુંદ્રાના જરપરા ગામની વતની રિધ્ધી ખીમજીભાઇ તાપરીયા (ઉ.વ.૨૨) હોવાનું અને તે જુનાગઢ રહી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું ખુલતાં જે તે વખતે તેણીના વાલીવારસને બોલાવાયા હતાં. તેણીએ તા.૧ના રોજ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. તે ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતી.

જ્યારે તેની સાથે ઝેર પી લેનાર દેવરામનું આજે સવારે રાજકોટ હોસ્પિટલમાં મોત થતાં એ-ડિવીઝનના એએસઆઇ રાજેશભાઇ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી જુનાગઢ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર દેવરામ છ ભાઇ અને છ બહેનમાં પાંચમો અને પરિણિત હતો. તેની પત્નિને હાલમાં સારા દિવસો જઇ રહ્યા છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જુનાગઢ પોલીસ વધુ તપાસ કરે છે.

(11:37 am IST)