Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

દેશ દેવી માઁ આશાપુરા કચ્છ ખાતે આસો નવરાત્રીનો તા.૧૬ ને શુક્રવારે પ્રારંભઃ રાત્રે ૯:૩૦ કલાકે ઘટસ્થાપન

૧૩ થી રપ ઓકટોબર માતાના મઢે દર્શન બંધ રહેશેઃ સરકારશ્રીના નિયમોનુસાર મુખ્ય પુજારી, સેવક ગણ, બ્રાહ્મણો દ્વારા સાદગીપૂર્વક નવરાત્રી ઉત્સવ ઉજવશે : તા.ર૩ના શુક્રવારે રાત્રે ૯:૩૦ કલાકે આસો સુદ-૭ ભવ્ય હોમાદિક ક્રિયાઃ અધ્યક્ષસ્થાનેથી રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજી રાત્રે ૧:૩૦ કલાકે હવનમાં બીડુ હોમશેઃ તા.ર૪ના શનિવારે સવારે નામદાર મહાશયશ્રી પ્રાગમલજી સાહેબ (ત્રીજા) દ્વારા માઁ આશાપુરાને સવારે જાતર (પત્રી) ચડાવશે.

રાજકોટઃ ભકિત અને શકિતનો અનુપમ સંગમ એટલે નવરાત્રી પર્વ. ભારતીય સંસ્કૃતિની ઇમારત ધર્મ, જ્ઞાન અને ભકિતના પાયા ઉપર જોડાયેલી છે. આ ભવ્ય સંસ્કૃતિમાં ઉપાસનાનું સ્થાન અલૌકિક અને અનોખું છે. આસ્થાની ઓભતા અનેક દેવ-દેવીઓની નામરૂપ ધરી કચ્છની ધન્ય ધરા માતાના મઢ બિરાજતા દેશદેવી માઁ આશાપુરાનું ભવ્ય મંદિર છે. જે ૧૯મી સદીનું ભવ્ય તીર્થધામ છે. જયા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. શકિત સહાર અને કલ્યાણકારી છે. માઁ આશાપુરાનું સ્વરૂપ અજોડ, અનોખું અલૌકિક છે.જયા આસો નવરાત્રી તા.૧૬ના શુક્રવાર  અમાસ રાત્રે ૯:૩૦ કલાકે ઘટસ્થાપન થશે. આસો સુદ-૧ તા.૧૭-૧૦-ર૦ર૦ શનિવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા.ર૩-૧૦-ર૦ર૦ સુદ-૭ શુક્રવાર રાત્રે ૧૦:૦૦ કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અધ્યક્ષસ્થાને રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજીના હસ્તે પૂજાવિધિ શરૂ થશે. હવનવિધિ ગોર મહારાજશ્રી યજ્ઞ આચાર્ય દેવકૃષ્ણ મુલશંકર વાસુ સમગ્ર પુજાવિધિ, શ્રલોક સ્તુતિ પાઠ દ્વારા થશે. હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે. હવનમાં બીડુ હોમવાનો સમય રાત્રીના ૧:૩૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી બીડુ હોમશે. આસો સુદ આઠમ તા.ર૪-૧૦-ર૦ શનિવાર કચ્છ રાજપરિવાર વિધિવિધાન રાજપરિવાર દ્વારા રાજવી કચ્છ મહારાવશ્રી પ્રાગમલજી (ત્રીજા)  માઁ આશાપુરા માતાજીને જાતર (પત્રી) ચડાવશે. સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. માઁ આશાપુરાના ગુણગાન ગવાશે. આ સમયે માઁ આશાપુરા દ્વારા ફુલ સ્વરૂપે રાજવી પરિવારને જાતર (પત્રી)નો પ્રસાદ આપે છે.    આ રીતે કલયુગમાં પણ ચમત્કાર ગણાય  છે.     જેને પત્રીનો પ્રસાદ કહેવાય છે.

નવરાત્રીમાં તા.૧૩ થી તા.રપ ઓકટોબર સુધી દર્શનાર્થીઓ માટે માતાના મઢ માઁ આશાપુરા મંદિર બંધ રહેશે. ટ્રસ્ટીગણ અને સરકારશ્રીની સુચના અન્વયે દર્શન બંધ રહેશે. હાલ તા.૧ર-૧૦-ર૦ર૦ સુધી ભાવિકજનો માટેદર્શન સમય સવારે પઃ૦૦ થી બપોરે ૧:૦૦ તથા બપોરે ૩:૦૦ થી રાત્રીના ૯:૦૦ સુધી દર્શન કરવા મળશે. દરેક ભાવિકજનો સરકારશ્રીના સુચના મુજબ માતાના મઢ ટ્રસ્ટીઓ દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ભાવિકોએ માસ્ક, રૂમાલ, થર્મલ ટેસ્ટીંગ, સેનેટાઇઝર તેમજ સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. ત્યાર બાદ મંદિરમાં પ્રવેશ દેવામાં આવશે. કોઇપણ જગ્યાએ અડવાની સખત મનાઇ છે. તા.૧ર-૧૦-ર૦ર૦ સોમવાર સુધી દર્શનાર્થીઓએ નિયમોનું પાલન કરવાનું રહેશે. તા.૧૩-૧૦-ર૦ર૦ મંગળવારથી તા.રપ-૧૦-ર૦ર૦ રવિવાર સુધી દર્શન માટે સરકારશ્રીની સુચના નિયમોનુસાર બંધ રહેશે. જેનીદરેક ભાવિકજનો તેમજ દર્શનાર્થીએ નોંધ લેવા વિનંતી. આસો  નવરાત્રી સરકારશ્રીની ગાઇડલાઇન તેમજ નિયમ મુજબ સાદગીપૂર્વક નવરાત્રી મુખ્ય પુજારીશ્રી તેમજ સેવકગણ, બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિ વિધાન માઁ આશાપુરાના નોરતા ઉજવવામાં આવશે. ઇતિહાસમાં સૌપ્રથમ આ સમયે આ ઘટના છે કે નવરાત્રી કોરોના કાળને લીધે સાદગીપૂર્વક યોજાશે. રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી માઁ આશાપુરાને વંદન પૂર્ણ પ્રાર્થના કરશે. દરેક દેશવાસીની કોરોના રૂપી રોગથી દરેકની રક્ષા કરજો વહેલીતકે આ ભયંકર રોગથીએ લોકો દેશવાસીઓને મુકિત મળે તેવી વંદનપૂર્ણ પ્રાર્થના કરશે. ભાવિકજનોને નમ્ર વિનંતી કે નવરાત્રી દરમ્યાન માતાના મઢ - વેબસાઇટના માધ્યમથી લાઇવ પ્રસારણ થશે. માઁ આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. (૧૧.૧૪)

:: સંકલન ::

વિનોદભાઇ આર. પોપટ

મો.નં. ૯૯૭૯૯ ૦૭ર૧૮ - રાજકોટ

(11:27 am IST)