Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ધોરાજી આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ કર્મચારી સાથે ભૂતપૂર્વ કર્મચારીએ કરેલ બળાત્કારના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા

ધોરાજી તા. ૧૦ : ભોગ બનનાર આરોપી સાથે બેંકમાં નોકરી કરતા હતા. અને આ સમયગાળા દરમિયાન આરોપી ભૌતિક જશવંતભાઈ દેખીવાડીયા એ ભોગ બનનારને લલચાવી ફોસલાવી અને પ્રેમ સંબંધ બાંધે અને બેંકની તાલીમમાં અમદાવાદ ગયા ત્યારે હોટલમાં રોકાયેલા ત્યાં ભોગ બનનારને પોતાના પત્ની તરીકે દેખાયેલ અને રાત્રે ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ગાંઠીલા મુકામે માથામાં સેથો પુરી અને લગ્ન કરી લીધેલા અને ઘરવાળા હા પાડશે ત્યારે કાયદેસર લગ્ન કરશું તેવું કહી અને ત્યારબાદ પણ શરીર સંબંધ બાંધ્યો હતો.

બંને પરિવારના વડીલો આંતરજ્ઞાતિય લગ્ન માટે રાજી ન થતા આરોપી ભૌતિક જસમતભાઈ એ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાની તૈયારી કરતા ભોગ બનનારે નોટિસ આપેલી અને ત્યારબાદ ફરિયાદ પણ કરેલી. જે ફરિયાદના અનુસંધાને ભૌતિક ભાઈ જસમતભાઈને ગુજરાતની વડી અદાલતમાંથી આગોતરા જામીન મળેલા હતા. અને તારીખ ૧૪ નવેમ્બર ૨૦૧૯ ના રોજ આ કેસ ચાલવા માટે ચાલુ થયેલો.

આરોપી તરફથી ભોગ બનનાર સાથેના વોટ્સએપ ચેટ અને મોબાઈલના કોલ રેકોર્ડિંગ રજૂ કરેલા જેમાં આરોપીએ એવું કહેલું હતું કે મજા તો બંનેએ કરેલી છે ને અને અન્ય રીતે ભોગ બનનારને શાંત પાડવાનો પ્રયત્ન કરેલ. આરોપી તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે જે શરીર સંબંધ બંધાયેલો હતો તે શરીર સંબંધ ભોગ બનનારની મરજીથી બંધાયેલો હતો તેમની સાથે કોઈ બળજબરી કરવામાં આવેલી ન હતી.

આ તબક્કે ભોગ બનનાર વતી એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય મનોજભાઈ પારેખ એ દલીલો કરી હતી કે ભોગ બનનારે શારીરિક પ્રતિકાર શરીર સંબંધ વખતે કરેલો નથી પરંતુ ભોગ બનનારની જે સહમતિ લેવામાં આવેલી છે તે સહમતી ભોગ બનનાર સાથે લગ્ન કરવાની લાલચ આપી અને લેવામાં આવેલી છે. ગાંઠીલા મુકામે લગ્ન કરવાનો વાયદો આપી અને આભાસી ચિત્ર ઊભું કરવામાં આવેલું છે કે ભોગ બનનાર તેની પત્ની છે અને આ રીતે ભોગ બનનાર ના શરીર નો લાભ લેવામાં આવેલો છે તેને ભોગ બનનારની સહમતિ ન માની શકાય અને આરોપીને બળાત્કારના કેસમાં તકસીરવાન ઠરાવવો જોઈએ.

આ તમામ હકીકતોને ધ્યાને લઇ અને એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય મનોજભાઈ પારેખ એ સુપ્રીમ કોર્ટમાં થયેલો શ્રી સરકાર વિરુદ્ઘ નવસાદ નો ચુકાદો રજૂ કરેલો હતો અને જણાવ્યું હતું કે બે વર્ષ જેવા લાંબા સમય સુધી નિયમિતપણે પ્રેમ સંબંધમાં શરીર સંબંધ બંધાતો હોય પરંતુ તે લગ્નની લાલચ આપીને બંધાયેલો હોય ત્યારે ભોગ બનનારની સહમતી તે કાયદેસરની સહમતિ ન ગણી શકાય ભોગ બનનાર નું શોષણ થયું ગણાય.

આ તમામ દલીલો હકીકતો પુરાવાઓ અને યુવાનોને ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજે આરોપી ભૌતિક જસમત દેખીવાડિયાને તકસીરવાન ઠરાવી અને ૧૦ વર્ષની સજા તથા રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો.

આ તબક્કે ભોગ બનનાર પોતાના પતિ સાથે કોર્ટમાં હાજર રહેલ અને પત્રકારો સમક્ષ ઇન્ટરવ્યૂ આપી અને જણાવ્યું હતું કે મારા જેવી અનેક બીજી બહેનો ને વિનંતી કે ઘરના એટલે કે વડીલોની સહમતી મેળવ્યા સિવાય કોઈ પણ પુરુષ સાથે મિત્રતાથી આગળ નો કોઈ સંબંધ ન રખાય તેમને શરીર સંબંધ બાંધવા ન દેવાય લગ્ન સુધી શરીર સંબંધ બાંધી એ તો પોતાનું જીવન પણ બરબાદ થઈ જાય આવી શીખ સાથે તેમને ટૂંકા સમયમાં ન્યાય મળી ગયાની લાગણી વ્યકત કરી હતી.

(11:35 am IST)