Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જામનગરના મુસ્લિમ માતા-પુત્રી-સાસુની સામૂહિક આત્મહત્યા

ભાણવડમાં બનેલી અરેરાટી ભરી ઘટનાઃ શંકર ટેકરી વિસ્તારમાંથી ૮ દિ' થયા આવેલઃ ત્રણેયે ઝેર પીધું : ભાણવડની ઘટનાનું કારણ અકબંધઃસબંધીને ત્યાં ૮ દી'થી રહેવા આવેલ

મૂળ જામનગરના અને અઠવાડીયાથી ભાણવડ રહેવા ગયેલ મુસ્લિમ પરિવારના માતા-પુત્રી અને સાસુએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઉપરોકત તસ્વીરમાં ત્રણેયના મૃતદેહ તથા પોલીસ ટીમ તથા ગામલોકો નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી, કૌશલ સવજાણી, કિંજલ કારસરીયા-જામનગર-ખંભાળીયા)

(મુકુંદ બદિયાણી-કૌશલ સવજાણી દ્વારા) જામનગર-ખંભાળીયા, તા. ૧૧ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એક જ પરિવારના ૩ વ્યકિતઓ માતા-પુત્રી અને સાસુએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ જામનગરના અને ભાણવડ એકાદ સપ્તાહથી રહેવા આવેલા પરિવારના ૩ સદસ્યોએ ઝેરી દવા ગટગટાવી લઈને આપઘાત કરી લેતા મૃતદેહોને ભાણવડની હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડેલ છે. બનાવના કારણ અંગે ભાણવડ પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ દેવભૂમિ દ્વારકાના ભાણવડ ગામમાં ૩ લોકોએ સામુહિક ઝેરી દવા પી લેતા ૩ ના મોત નિપજયા છે. ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી, માતા અને સાસુએ સજોડે આપઘાત કરતા સનસનાટી મચી ગઈ છે.

મૂળ જામનગર ના રહેવાસી ભાણવડ આવ્યા હતા અને ભાણવડમાં જ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ધોની ના મૃત્યુ નીપજયા છે ત્યારે આ અંગે પોલીસ પણ જાણ થતાં દોડી આવી છે. ભાણવડ પંથકમાં એક જ પરિવારના દાદી થી લઇ પુત્રવધુ અને દીકરી સુધી ૩ લોકોએ સાથે વખ ઘોળી સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે.

હાલ ભાણવડ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. સામૂહિક આપઘાત કરનાર માં જામનગરના સાહિસ્તા ઉર્ફે સોનુ નૂરમામદ શેખ (ઉ.વ. ૧૮), જેનમબાનું કાસમ ખાન સરવણીયા પઠાણ (ઉ.વ.૬૩) અને નૂરજાબાનું નૂરમામદ શેખ, (ઉ.વ ૪૨) હોવાનું જાણવા મળ્યું છે.

હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. અને માતા-પુત્રી અને સાસુના મૃતદેહને પીએમ માટે ખસેડી કયા કારણોસર સામૂહિક આપઘાતની આ ઘટના બની છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(3:00 pm IST)