Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મંત્રી કિરીટસિંહ રાણા તથા કિર્તીસિંહ વાઘેલાનો સન્માન સમારોહ યોજાયો

જામનગર તા. ૧૧ : રાજપૂત સમાજ છાત્રાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા તથા રાજય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાનો જામનગર રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓએ ઉપસ્થિત મંત્રીશ્રીઓને વિશિષ્ટ સન્માન આપી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે કેબિનેટ મંત્રી તરીકે નું જે પદ મળ્યું છે તે સમાજને આભારી છે માટે કોઈ પણ પ્રકારની જરૂરિયાત, મુશ્કેલી કે પ્રશ્નો હોય તો તેમાં મદદરૂપ થવા કાયમ માટે અમારા દ્વારા ખુલ્લા રહેશે. મંત્રીશ્રીએ જામનગર જિલ્લામાં રાજકીય તથા સામાજિક ક્ષેત્રે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના કાર્યોની પ્રશંસા કરી હતી તેમજ જામનગરની રાજપૂત સમાજની કન્યા કેળવણીની વ્યવસ્થાને બિરદાવી હતી. તેમજ જામનગર જિલ્લામાં મંત્રીશ્રીની જન આશીર્વાદ યાત્રાનું ભાવભીનું સ્વાગત કરી વિશેષ આવકાર આપવા બદલ જામનગરની જનતાનો આભાર વ્યકત કર્યો હતો. તેમજ આ તકે રાજપૂત સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સતત પ્રગતિ કરે તેવી અભ્યર્થના વ્યકત કરી હતી.

કાર્યક્રમમાં રાજપૂત સમાજ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો, પુર્વ મંત્રીશ્રી તથા ધારાસભ્ય પરિવાર, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, સમૂહ લગ્ન સમિતિ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, જામનગર શહેર જિલ્લા રાજપૂત યુવા સંઘ, ઝાલા રાણા રાજપુત સમાજ, જામનગર રાજપુત કરણી સેના, રાજપુત ડોકટર એસોસિએશન, ગજકેસરી ફાઉન્ડેશન, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, રાજપૂત યુવા સંગઠન તથા રાજપુત કોર્પોરેટર્સ સહિતની સામાજિક સંસ્થાઓ તથા હોદેદારોએ મંત્રીશ્રીઓને મોમેન્ટો આપી વિશિષ્ટ સન્માન અર્પણ કર્યું હતું.

આ પ્રસંગે રાજય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી પી.એસ. જાડેજા સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ ક્ષત્રિય સમાજના વિશિષ્ટ સિદ્ઘિ હાંસલ કરેલ મહાનુભાવોને મંત્રીઓના હસ્તે સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પ્રવિણસિંહ જાડેજાએ કર્યુ હતુ તેમજ શ્રી વી.ડી.જાડેજા -બેડ નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ કાર્યક્રમમાં કાર્યકારી પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી સી.આર.જાડેજા, સેક્રેટરી શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી પ્રવિણસિંહ ઝાલા, ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષશ્રી બીપેન્દ્રસિંહજી જાડેજા, અખીલ ભારતીય ક્ષત્રિય મહાસભાના પ્રમુખ શ્રી ગોવુભા જાડેજા, પ્રાથમિક સંઘના પ્રમુખશ્રી દિગુભા, જિલ્લા રાજપુત યુવા સંઘ જે.ડી.જાડેજા, શહેર પ્રમુખ શ્રી હિતુભા જાડેજા, પૂર્વ પ્રમુખ શ્રી ડી.કે.જાડેજા, માજી સૈનિક મંડળના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી પ્રવિણસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા, સમુહ લગ્ન સમિતીના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, દોલુભા જાડેજા, કર્ણદેવસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, નિવૃત ડી.એફ.ઓ ઘનશ્યામસિંહ સોઢા, રાજભા જાડેજા ,લગ્ધીરસિંહ જાડેજા, કોર્પોરેટર સર્વશ્રી જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, હર્ષાબા જાડેજા, જશુબા ઝાલા, ગીતાબા જાડેજા, સહિતના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 pm IST)