Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જામનગર તાલુકાના ૧૦૭ ગામોના સરપંચ દ્વારા કૃષિમંત્રીનો અભિવાદન

જામનગર તા.૧૧ : જામનગર તાલુકા સરપંચ મંડળ દ્વારા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો ઠેબા ગામ ખાતે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.જયાં તાલુકાના ૧૦૭ ગામોના સરપંચશ્રીઓએ ઉપસ્થિત રહી મંત્રીશ્રીને સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અંતરાયો તથા અવરોધોનો સામનો કરી તાલુકાનો કઈ રીતે વિકાસ થાય એ બાબત દરેક સરપંચના લક્ષ્યમાં હોવી જરૂરી છે. જામનગર તાલુકો ૧૯૮૫ની સાલથી મારી કર્મભૂમિ રહી છે ત્યારે આ તાલુકાની વહીવટી, સામાજિક કે વ્યકિતગત બાબતે શકય તેટલી તમામ મદદ કરવા હું હંમેશા તત્પર રહીશ અને વધુમાં વધુ આપ સૌને મદદરૂપ થવા પ્રયત્ન કરતો રહીશ. મારી સતા, અનુભવ અને સમજનો લાભ સતત આ વિસ્તારને મળતો રહે તે માટે કાર્ય કરતો રહીશ. મંત્રીશ્રીએ આ પ્રસંગે કુદરતી આફતમાં મદદરૂપ થવા તથા વિકાસ કાર્યોની બાબતે જામનગર તાલુકા સંગઠન દ્વારા હાથ ધરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી તેમજ સરપંચશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો સાંભળી તે પરત્વે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ માંડવીયા, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, મંત્રી કુમારપાલસિંહ રાણા, મહામંત્રી  મહેન્દ્રસિંહ જાડેજા, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કાજલબેન સંચાણી, આગેવાન બકુલસિંહ જાડેજા, સરપંચ મહેશભાઈ, ભગવાનજીભાઈ વસોયા, બાબુભાઇ વાગડીયા, કાનજીભાઈ પરમાર સહિતના સરપંચો તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 pm IST)