ગોંડલ : સોશ્યલ ડીસ્ટન્સ ન જાળતવા આદ્યશકિત ચા, ગિરનારી ખમણઘ દયાળજી ભજીયા, કીચુ મલ ભજીયા, મીરા પાન સહિતના સામે પાલિકાના નરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ આસોદરીયા, ચિરાગભાઇ શિયાર, ચિરાગભાઇ રાજ્યગુરૂ, રવિભાઇ જોશી, ગાનિયુનિસ ગામોટ દ્વારા કામગીરી કરીને સીલ મારવામાં આવ્યું હતું. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
રાજકોટ,તા.૧૨: સર્વત્ર કોરોના મહામારીના કેસમાં ઉછાળો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ગોંડલ -પંથકમાં ૪૯, ભાવનગર-જીલ્લામાં ૪૫, ધોરાજી તાલુકામાં ૩૭ અને જસદણ પંથકમાં ૧૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલઃગોંડલમાં કોરોના વિકરાળ બની રહ્યો છે. કાલે એક જ દિવસમાં ૪૯ પોઝીટીવ કેસ નોંધાયા છે.આ સાથે ગોંડલમાં કોરોના પોઝીટીવ એક હજારને પાર કરી ચુકયો છે.જે જીલ્લામાં સૌથી વધું છે.અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવનાં કુલ ૧૦૩૪ કેસ નોંધાયા છે.જયારે મૃત્યુ નો આંક ૬૪ થવાં પામ્યો છે.આમ ગોંડલ કોરોના ગ્રસ્ત બનવાં પામ્યું છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી) ભાવનગરઃ ભાવનગર જિલ્લામા વધુ ૪૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૩૭૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૨ પુરૂષ અને ૬ સ્ત્રી મળી કુલ ૨૮ કેસો નોંધાયા છે. જયારે તાલુકામાં કુલ ૧૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૫ અને તાલુકાઓના ૨૭ એમ કુલ ૬૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ઉમરાળા તાલુકાના ચોગઠ અને ગારીયાધાર તાલુકાના લુવારવાવ ગામ ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
જિલ્લામા નોંધાયેલા ૩,૩૭૯ કેસ પૈકી હાલ ૪૭૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૮૫૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૫૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજીમાં કોરોનાએ કાળો કેર સજર્યો છે ત્યારે શુક્રવારે એક જ દિવસમાં ૩૭ કેસ પોઝિટિવ નોંધાતા ધોરાજીમાં વધુ ફફડાટ છવાયો છે
સાતમી સદી પૂરી કરીને આઠમી સદી તરફ જઈ રહ્યુંછે ધોરાજી...? અત્યાર સુધીમાં ધોરાજીમાં ૭૩૮ કેસ નોંધાઈ ચુકયા છે અને ૩૩ થી વધુ લોકોના મોત થયા હોય તેવા પણ આંકડા મળી રહ્યા છે.
ધોરાજીમાં જે આંકડા મળી રહે છે તે માત્ર ધોરાજી અને રાજકોટ રિપોર્ટ થતા હોય એ જ આંકડા પોઝિટિવના આવી રહ્યા છે.
પરંતુ ધોરાજી થી જુનાગઢ જતા દર્દીઓ ના નામ ધોરાજીના રેકોર્ડ ઉપર આવતા નથી અને ત્યાં મૃત્યુ પામેલા લોકોના નામ ધોરાજી અને રાજકોટ જીલ્લાની યાદીમાં આવતા નથી તે અલગ હોય છે.
તે આંકડો જોતા ધોરાજી નો આંકડો આનાથી પણ વધુ હોય તેવી સંભાવના જોવા મળી રહી છે.
આટકોટ
(વિજય વસાણી દ્વારા) આટકોટઃ જસદણ શહેરમાં દસ અને પંથકમાં ચાર મળી કુલ જસદણ તાલુકામાં ગઇ કાલે ૧૪ કોરોના પોઝીટીવ આવ્યા છે.
જસદણ પંથકમાં થોડા દિવસનાં વિરામ બાદ કોરોનાએ ફરી માથુ ઉચકતા રોજ કોરોના કેસો સામે આવી રહ્યા છે.
જસદણ શહેરમાં ગઇ કાલે ૧૦ કેસ આવ્યા હતા. તેમજ ભાડલા, ખડ-વાવડી, કમળાપુર અને કાળાસરમાં એક એક કેસ આવ્યા હતા.
જસદણ પંથકમાં તંત્ર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવી સંક્રમણ વધારી રહ્યા છે.
જસદણ પંથકમાં અનેક ચા અને પાનની દુકાને લોકો ટોળે વળી ગયેલ ગોલ-ગટ્યા કરતા હોય તંત્ર દ્વારા આવા ધંધાર્થીઓને કડક સુચના આપી અને કડક કાર્યવાહી કરે તેવી પ્રજામાં લાગણી પ્રવેર્ત છે.
જસદણ પંથકમાં અનેક ચાની દુકાનમાં કપમાં ચા દેવાને બદલે યોગ્ય રીતે સાફ ન કરેલ રકાબીઓમાં ચા દેવામાં આવતી હોય તેની સામે પણ યોગ્ય કાર્યવાહી કરવા લોકો જણાવી રહ્યા છે.