Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

કળાની નિજાનંદી પ્રસ્‍તુતિ એટલે પરમોત્‍સવ : પૂ. મોરારીબાપુ

સ્‍વ. પ્રભુદાસ બાપુની પુણ્‍યતિથિ નિમિત્તે તલગાજરડામાં સમૂહલગ્ન અને સંતવાણી એવોર્ડ સમારોહ યોજાયો

રાજકોટ તા.૧૨ : પૂ. મોરારીબાપુના વતન તલગાજરડામાં દર વર્ષે તેમના પિતાશ્રી પૂજય પ્રભુદાસબાપુની પુણ્‍યતિથિના ઉપલક્ષ્યમાં સમૂહલગ્ન અને સંતવાણી એવોર્ડનું આયોજન થાય છે. સને ૨૦૧૦ થી આરંભાયેલી આ યાત્રા આજે પણ ચાલુ છે. ગત તા. ૧૦ -૧૧- ૨૨ ના રોજ ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે ૧૫મો એવોર્ડ સમારંભ સંપન્ન થયો.
પૂજય મોરારીબાપુએ એવોર્ડ સમારંભને સંબોધન કરતા જણાવ્‍યું કે ભજન એ ઉચ્‍ચાર નથી એ સ્‍વયં આચાર છે. તેથી આપણે સરકારશ્રીની તમામ આચાર સહિતાનું ચુસ્‍ત રીતે પાલન કરીએ છીએ. ઉત્‍સવો નાચતાં નાચતાં થાય, મહોત્‍સવ બુદ્ધ પુરૂષોના સાનિધ્‍યમાં યોજાય અને પરમોત્‍સવ એટલે કે તમારી પાસે જે કળા છે તેને તમે તમારા નિજાનંદ માટે જયાં પ્રસ્‍તુત કરો તે પરમોત્‍સવ છે. તલગાજરડા દુનિયાની તમામ કળાઓને આવકારે છે. હનુમાનજી કળાથી પ્રસન્ન થાય છે અને આપણે આ ઉપક્રમથી એ દિશામાં જઈએ છીએ.
આજના એવોર્ડ સમારંભમાં સર્જકવંદના માટે દાસીજીવણ જગ્‍યા ઘોઘાવદરના મહંત પૂજય શામળદાસ બાપુ- ઘોઘાવદર, ભજનીક -શ્રી ખેતશીભાઈ કાકુભાઈ ગઢવી- કચ્‍છ, તબલા -હર્ષદભાઈ રાવલ જુનાગઢ, વાયોલીન બેંજો -આનંદભાઈ મકવાણા મોરબી, અને મંજીરા પરબતભાઈ પટેલ ચમારડી બાબરાને સૂત્રમાલા પ્રશસ્‍તિપત્ર અને રોકડ પુરસ્‍કારથી સન્‍માનિ કરી તેમની ભાવવંદના કરવામાં આવી.
ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા દર વર્ષે યોજાતા સમૂહલગ્નમાં સવારે કુલ ૧૨ દીકરીઓના સમુહલગ્ન કરવામાં આવ્‍યા અને તેમાં સમગ્ર ગામ સામેલ થયું હતું.
સંતવાણી આરાધનાના દોરમાં ભજનીકો લલિતા ઘોડાદ્રા, પરસોતમપરી મબાપુ, શૈલેષ મહારાજ, રામદાસ ગોંડલીયા અને જયશ્રી માતાજી એ પોતાની વાણી પ્રસ્‍તુત કરી. કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના વિવિધ પ્રાંતના સંતો મહંતો અને ૧૦૦ કરતાં પણ વધારે લોક કલાકારો ઉપસ્‍થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન હરિヘંદ્રભાઈ જોશીએ કર્યું હતું અને વ્‍યવસ્‍થા અને સંકલનᅠ જયદેવ માંકડે સંભાળ્‍યું હતું.

 

(11:54 am IST)