Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

અમે કોઇ ‘આપ'માં જોડાયા નથી ! મોરબી સિરામીક એસોશિએશનની સ્‍પષ્‍ટતા

મોરબી સિરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ સહિતનો કાફલો આમ આદમી પાર્ટી સાથે જોડાયા બાદ સંગઠનનો આશ્ચર્યજનક ખુલાસો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૩ : મોરબી સીરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ સહિતના ૫૦૦થી વધુ લોકો ગઈકાલે રાજકોટ આવેલા દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા બાદ આજે અચાનક જ મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ દ્વારા એસોશિએશનના વર્તમાન કોઈપણ હોદેદાર આપમાં જોડાયા નહીં હોવાની સ્‍પષ્ટતા કરવામાં આવી છે.

ગઈકાલે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથેની ગોષ્ઠી અને જાહેરસભા બાદ મોરબી સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા સહિત મોરબીના ૫૦૦થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

બીજી તરફ મોરબી સિરામીક એસોસીએશનના માજી પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા આપમાં જોડાતા આજે મોરબી સિરામીક એસોશિએશનના વર્તમાન પ્રમુખ દ્વારા સ્‍પષ્ટતા કરતા જાણવાયું છે કે, આમ આદમી પાર્ટી તરફથી રાજકોટ ખાતેની મીટીંગમાં મોરબી સિરામિક એસોસિએશનના હોદેદારોને ઉદ્યોગોના પ્રશ્નો જાણવા માટે આમંત્રણ હતુ. પરંતુ કેન્‍દ્રમા કે ગુજરાત રાજયમા આપની સરકાર નથી. જેથી અમારા ઉદ્યોગના પ્રશ્નો ત્‍યા રજુ કરવાથી કોઈ નિરાકરણ આવે નહી અને ફક્‍ત રાજકીય મુદ્દો બની જાય નહી એટલે અમારા એસોશિએશનના કોઈ હોદેદાર કે સભ્‍ય મીટીંગમા ગયેલ નથી અને આપમા જોડાયેલ ન હોવાનું ભાર પૂર્વક જણાવ્‍યું હતું.

(11:14 am IST)