Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સુરેન્દ્રનગરના કોઠારીયા રોડ ઉપર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત : ૪ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ : કોઠારિયા રોડ પેટ્રોલપંપ નજીક ત્રિપલ અકસ્માત થતા એકનું મોત થયું હતંુ. જયારે ગાંધીનગરના એક જ પરિવારના ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ-કોઠારિયા રોડ પેટ્રોલપંપ પાસે શનિવારે સાંજના સમયે કોઠારિયા બાજુથી આવતા ટ્રકનો પાછળ આવતી બીજી ટ્રકે ઓવરટેક કર્યો હતો. જેમાં પ્રથમ ઇકો ગાડી સાથે ભટકાડતા ટ્રક પલટી મારી ગઇ હતી. અને ટ્રક રોડની વચ્ચે પલટી મારતા વઢવાણ ગેબનશા સર્કલથી કોઠારિયા તરફ જતી ગાંધીનગરના પરિવારની ફોરવ્હીલ ગાડી સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ બનાવમાં ઇકો ગાડીના ચાલક વઢવાણના સલીમભાઈ મહેમુદભાઇનું મોત થયું હતું. જયારે મૂળ સુરેન્દ્રનગરના અને હાલ ગાંધીનગર રહેતા જગદીશભાઈ ગોરધનભાઈ, હર્ષિદાબેન જગદીશભાઈ, ભાર્ગવભાઈ જગદીશભાઈ, આદિત્ય જગદીશભાઈને ઇજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ભાર્ગવભાઈએ અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડકોન્સ્ટેબલ રણજીતસિંહ ડી.સોલંકી ચલાવી રહ્યાં છે.

(11:40 am IST)