Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

અખાત્રીજના આથમણા અને વાયવ્યના પવને 'સારા વરસાદ'નો વર્તારો આપ્યો

ગત વર્ષની જેમ વાયવ્યની ફણગીએ વહેલા વાવણીલાયક સાર્વત્રિક વરસાદના સંકેત આપ્યા

(દર્શન ઠાકર દ્વારા) બગસરા, તા.૧૫ : આજે અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી આથમણી તેમજ વાયવ્ય દિશામાંથી પવન વાતા સારા વરસાદ નો વરતારો આપ્યો હતો.

વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ રહ્યું છે આ વર્ષે અખત્રીજની વહેલી સવારે ૩ વાગ્યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાય ને પૂર્વ તરફ ગયો હતો. તેમજ સાથે સાથે વાયવ્ય દિશામાંથી પણ ફણગીઓ જોડાતા ચોમાસાની શરૂઆત વહેલી અને સાર્વત્રિક રીતે થાય તેવી શકયતા વર્તાઇ હતી. આથમણો પવન વાતા 'વનરાજી ખીલી ઉઠે' અને વાયવ્ય ના પવનથી 'સારો વરસાદ' તેવો વરતારો થાય. ગત વર્ષની જેમ આખાત્રીજના દિવસે વાયવ્ય દિશામાંથી પણ પવનની ફણગી શરૂ રહેતા આવતા ચોમાસા ની શરૂઆત થી અંત ભાગ સુધી ખૂબ જ સારા વરસાદની શકયતા જાણકારો માની રહ્યાં છે. સાથે-સાથે કયારેક વાયવ્ય દિશામાંથી પણ પવનની ફણગીઓ આવતા સામાન્ય ખંડવૃષ્ટિની શકયતા ચોમાસાનાં મધ્યભાગમાં અભ્યાસુઓ દ્વારા માનવામાં આવી રહી છે. બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર આ વર્ષે હોળીની જાળ તથા ચૈત્રી દનૈયા દરમિયાન તાપથી થી મધ્યમ ચોમાસાનાં કુદરતી અણસાર મળેલ તેમજ આજના અખાત્રીજના પવનના વરતારાને કારણે એકંદરે આવનાર ચોમાસું ખુબજ સારું રહેશે તેવી શકયતા જાણકારો દર્શાવી રહ્યા છે, ત્યારે પાકને પાણીની સ્થિતી સારી રહે તેવી શ્રદ્ઘા રાખીએ.

(11:41 am IST)