Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજુલાના ઉચૈયા ગામ નજીક ટ્રેક હડફેટે સિંહ ઘાયલ

રાજુલા, તા. ૧૭ :  રાજુલા વિસ્તારમાં પીપાવાવ પોર્ટ અને તેની આસપાસ તેમજ અલ્ટ્રાટેક સીમેન્ટ અને તેની આસપાસ કુલ ૬૦ થી પણ વધારે સિંહો વસાવટ કરે છે. પરંતુ જયારથી કંપની દ્વારા પ્રાયવેટ ટ્રેક જાહેર હેતુ માટે જમીનો સંપાદન કરીને નાખેલછે. ત્યારથી જાણે સિંહોના મોતનો સિલસિલો આ રેલ્વે ટ્રેક પર શરૂ થયેલ છે. આ રેલ્વે ટ્રેક પર પીપાવાવ પોર્ટથી લઇને ઉચૈૈયા, ભેરાઇ, રાજુલા, રાજુલા રોડ સુધી ટ્રેક ફરતે ઝાળી લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલ છે. આમ છતા આ સિંહોના મોત અને એકસીડન્ટો જાણે રોકાવાનું નામ નથી લેતુ આ ઝાળીનું કામ પણ ખુબ જ હલ્કી કક્ષાનું કરેલ હોય, કેટલીક જગ્યાએ ઝાળીઓ પાર ટૂટી ગયેલ છે. આ ઝાળી બનાવવાના કોન્ટ્રાકટરમાંથી પણ લાખો રૂપિયાને ભ્રષ્ટાચાર થયેલ હોવાનું લોકોમાંથી જાણવા મળી રહેેલ છે.

બનાવમાં સવારે લગભગ ૭.૪પ વાગ્યા આસપાસ ગુડસ ટ્રેનની હડફેટે ઉચૈયા ગામ પાસે આવેલ ૧પ નંબરના ફાટક પાસે સિંહ આવી જતા વન વિભાગ દ્વારા ગંભીર  ઇજા થયેલ સિંહને રેસ્કયુ કરીને પ્રાથમિક સારવાર  આપ્યા બાદ નજીક આવેલ બાબરકોટ ગામે આવેલ વનવિભાગની પ્રાણીસંગ્રાલયમાં પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે અને બાદમાં વધુ ઇજા હોય તેને જુનાગઢ સક્કર બાગમાં મોકલી આપવામાં આવેલ છે.

આ બનાવને કારણે આ વિસ્તારમાં સિંહ પ્રેમી  વિપુલભાઇ  દ્વારા રોષની લાગણી વ્યકત કરેલ છે તેમજ ગૌચર અને પર્યાવરણ બચાવ ટ્રસ્ટ-રાજુલા- પ્રમુખશ્રી ચેતન વ્યાસ દ્વારા એવું જણાવેલ છે કે આ વિસ્તારમાં આવેલી કંપનીઓ દ્વારા પર્યાવરણના કાયદાનું પાલન કરતા નથી તેમજ સરકાર દ્વારા ગુડસ ટ્રેન ર૦ની ઝડપે ચલાવવા જણાવેલ હોવા છતા સરકારની ગાઇડગાઇન આ કંપની પાલન કરતી નથી. અવાર-નવાર સિંહોના મોત થાય છે. અને અવાર-નવાર આ વિસ્તારની કંપનીઓ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર તથા અન્ય જીવો મોતના મુખ્ય ટ્રેનો દ્વારા, બ્લાસ્ટીંગ દ્વારા કે અન્ય રીતે ધકેલી દેવામાં આવે છે ત્યારે આ વિસ્તારની કંપની સામે એકશન લેવામાં તંત્ર વામણુ પુરવાર થયેલ હોય આ તમામ કંપનીઓ સામે પગલા લેવાની અને જેલમાં ધકેલવાની માંગ શ્રી વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે.

(12:54 pm IST)