Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

માધવપુરનો મેળો એ લગ્નપ્રસંગ પૂરતો મર્યાદિત નથી પરંતુ પૂર્વની સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડવાનો એક અભૂતપૂર્વ પ્રસંગ છે: આચાર્ય દેવવ્રતજી

ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહના સાંસ્કૃતિક ઉત્સવ - માધવપુર મેળાનો શુભારંભ કરાવતા રાજ્યપાલ:શ્રી કૃષ્ણના જીવનપ્રસંગોમાં આદર્શ જીવન જીવવા માટેનો સાર સમાયેલો છે.ગુજરાતનું સૌભાગ્ય છે કે, શ્રીકૃષ્ણએ તેમની જીવનલીલાના અનેક પ્રસંગો ગુજરાતની ભૂમિ પર કર્યાં છે.શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો વાંચીએ અને તેમાંથી પ્રેરણાં લઈએ :રાજ્યપાલ :‘મંગલ માધવપુર’ નામની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિએ રંગ જમાવ્યો

પોરબંદર:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પરાપૂર્વથી માધવપુર ઘેડ વિસ્તારમાં રૂક્ષ્મણીજી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહના પરંપરાગત રીતે ઉજવાતા લગ્નોત્સવના પ્રસંગ અંતર્ગત માધવપુરના લોકમેળાનો આજે રામનવમીના પવિત્ર દિવસે શુભારંભ કરાવ્યો હતો.

  રાજ્યપાલએ આ અવસરે જણાવ્યું હતું કે, ભારતીય જીવનદર્શનમાં બે ઉચ્ચકોટિના વ્યક્તિત્વનો પ્રભાવ જોવા મળે છે. જેમાં એક વ્યક્તિત્વ છે ત્રેતાયુગમાં થઈ ગયેલ મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ, કે જેમનો આજે જન્મદિવસ છે અને બીજું વ્યક્તિત્વ છે, દ્વાપરયુગમાં થઈ ગયેલ ભગવાન શ્રી કૃષ્ણ. આ બન્ને વ્યક્તિત્વ ભારતીય જીવનદર્શનમાં વ્યાપક પ્રભાવ ધરાવે છે અને સમગ્ર જીવનદર્શનનો સાર તેમના જીવનપ્રસંગોમાંથી મળી રહે છે.
   આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું કે, માધવપુરનો મેળો એ લગ્નપ્રસંગ પૂરતો મર્યાદિત નથી પરંતુ ભારતની પૂર્વની સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડવાનો એક અભૂતપૂર્વ પ્રસંગ છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની વિભાવના તેના દ્વારા ખરા અર્થમાં સાર્થક થાય છે. આ મેળામાં ઉત્તરપૂર્વના રાજ્યોના કલાકારો માધવપુરમાં આવીને તેમની હસ્તકલા, ખાદ્યશાસ્ત્ર વગેરેનું નિદર્શન કરે છે. જેનાથી બન્ને સંસ્કૃતિના મૂલ્યો સાથે એકતાંતણે જોડાય છે. તેનાથી કલાકારોની ગરિમા અને ગૌરવમાં વધારો થાય છે, તેમજ એકબીજા વચ્ચે ભાઈચારાની ભાવના વધુ સુદ્રઢ બને છે.
    રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણએ તેમના જીવનકાર્યમાં એવા જીવનમૂલ્યોની સ્થાપના કરી છે કે, જેને આપણે આદર્શ જીવન ગણીએ છીએ. આવા આદર્શ મૂલ્યોની પ્રેરણાનો ભાવ જગાવવા માટે આવા અવસરો ઉદ્દીપકનું કામ કરતા હોય છે.
રાજ્યપાલએ મહાભારતના પ્રસંગનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, મહાભારતમાં એવા દિવ્ય અને ભવ્ય વર્ણનો છે. જેમાંથી આપણે જીવનની સાચી દિશા મેળવી શકીએ છીએ. તેમાં દર્શાવેલા મૂલ્યો આપણને સાચા જીવનનું દર્શન કરાવે છે.
તેમણે આ સંદર્ભમાં વધુમાં જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે લગ્ન બાદ 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું નિર્વહન કરીને એક સંસ્કારી પુત્રને જન્મ આપ્યો હતો. આ નાનો એવો પ્રસંગ સમગ્ર જગત જ્યારે આજે ભોગવાદમાં વિલસી રહ્યું છે. ત્યારે તેનાથી કઈ રીતે બહાર નીકળીને સાચા અર્થમાં લગ્નને સંસ્કાર બનાવી શકાય તેનો ખ્યાલ આપે છે.
તેમણે બીજા પણ એક પ્રસંગનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીએ શ્રી કૃષ્ણના જીવનદર્શન વિશે જણાવ્યું છે કે, શ્રી કૃષ્ણએ જન્મથી મરણ સુધી એકપણ પાપ આચર્યું નથી. તેવું સર્વાંગ અને સંપૂર્ણ વ્યક્તિત્વ શ્રીકૃષ્ણનું છે. ગુજરાતનું એ સૌભાગ્ય છે કે ગુજરાતની ભૂમિ પર તેમણે પોતાનું રાજ્ય વસાવ્યું અને માધવપુરમાં લગ્ન કર્યાં. દરેક ગુજરાતીના જીવનમાં શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો એક યા બીજી રીતે વણાયેલા છે. તે આ મહાન વ્યક્તિત્વની વિરાટતા દર્શાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણના જીવનપ્રસંગો આત્માથી પરમાત્મા સુધીનું દિવ્યદર્શન કરાવે છે. તે એટલા અદભૂત અને દિવ્ય છે કે તેમાંથી માનવસમાજને સ્ફૂર્તી અને પ્રેરણાં મળે છે. ધર્મની રક્ષા કાજે શું કરવું જોઈએ અને અધર્મના નાશ માટે કયા કર્તવ્યનું પાલન કરવું જોઈએ તેનો વિવેક તેમના વ્યક્તિત્વમાંથી આપણને સાંપડે છે. ભારતીય સંસ્કૃતિમાં જો આ બન્ને મહાન વ્યક્તિત્વો નથી તો ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય નગણ્ય બની જાય તે પ્રકારનો અમૂલ્ય વારસો અને વિરાસત તેમણે માનવજગતને આપ્યો છે. અને કદાચ તેના કારણે જ આપણે દૈનિક જીવનમાં તેમની પૂજા કરીએ છીએ અને આપણાં હૃદયમાં ઉચ્ચકક્ષાએ તેમને બીરાજમાન કરીએ છીએ.
ભગવાન કૃષ્ણએ ગીતાનો જે ઉપદેશ આપ્યો છે. તેમાં વેદોની કલ્પના, ઉપનિષદોનો સાર સમાયેલો છે. આત્મા શું છે? શરીર શું છે? તેવું ગર્ભિત ચિંતન ગીતામાં દર્શાવ્યું છે. આવું સમગ્ર દાર્શનિક જીવન ભગવાન શ્રીકૃષ્ણનું છે. આપણે શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો વાંચીએ અને તેમાંથી પ્રેરણાં લઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે.
મુખ્ય સચિવ  રાજકુમારે આ અવસરે જણાવ્યું કે, પ્રાચીન સમયથી જ ગુજરાત ઉત્સવોની ભૂમિ રહ્યું છે. માધવપુરનો આ મેળો બધા ઉત્સવોમાં અનોખી નામના ધરાવે છે. આ મેળો માત્ર મેળો નથી, પણ સાંસ્કૃતિક ઉત્સવ વિશેષ છે. આ મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડે છે. આ મેળામાં સાંસ્કૃતિક એકતાના દર્શન થાય છે. ભારતના પૂર્વ અને પશ્ચિમના છેડાને એકસૂત્રમાં બાંધતો આ મેળો અનેક  પ્રાચીન ગાથાઓ સાથે જોડાયેલ છે. જે પ્રાચીન પરંપરાઓ અને રિવાજની ઝાંખી કરાવતો ઉત્સવ છે. આ બન્ને વચ્ચે હજારો કિ.મી.નું અંતર હોવા છતાં એવો અતૂટ નાતો છે. જે બન્ને પ્રદેશના લોકોમાં આગવું સ્થાન ધરાવે છે. જે વિવિધતામાં એકતાની મિસાલ બની રહ્યો છે. અહીં હજારો વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણના વિવાહ ઉત્તર-પૂર્વની રાજકુમારી સાથે થયા હતાં. જે કાળસંબંધનું પ્રતિક અને પ્રાચીન વારસો છે. પ્રાચીનકાળથી ભારતના વિવિધ રાજ્યો એકબીજા સાથે જોડાયેલા છે. વિવાહના સંસ્કાર સોળ સંસ્કાર પૈકીના એક છે. લગ્નજીવન દ્વારા જીવન સુખમય બનાવી શકાય છે એવો આ સંદેશ આ મેળો આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાષા, વેશભૂષા, ભજન, ભૂગોળ અને ભોજનનો જેમાં સમન્વય થાય છે. તેને આપણે સંસ્કૃતિ ગણીએ છીએ. આ તમામ બાબતોનો સમન્વય માધવપુરના મેળામાં થાય છે.
આ મેળામાં સમયની સાથે નાગરિકો અને સરકારના પ્રયાસથી નવા નવા આયામો જોડાઈ રહ્યાં છે. આ મેળામાં ઈશાન ભારતના હસ્તકળા, નૃત્યના કલાકારો તેમની કલાના કામણ પાથરવાના છે. તો લોકડાયરા દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી પણ રજૂ કરવામાં આવનાર છે. જેથી આ મેળો ભારતવર્ષના પૂર્વ અને પશ્ચિમનો મિલન કરાવતો મેળો બની રહ્યો છે.
કલા અને સંસ્કૃતિ સાથે આ મેળા દ્વારા ઉત્તરપૂર્વ અને ગુજરાત વચ્ચે આર્થિક પ્રવૃત્તિઓ વધારવાના પ્રયાસ થઈ રહ્યાં છે. તેમજ રમતગમતને ઉત્તેજન આપવા બીચ સ્પોર્ટ્સ, રેતશિલ્પ વગેરેનું આયોજન થઈ રહ્યું છે. તેનાથી પૂર્વ અને પશ્ચિમના રાજ્યો વચ્ચે વ્યાપાર વાણિજ્યમાં પણ વૃદ્ધિ થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્રસચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, દેશના રાજ્યોને એકતાંતણે બાંધતો આ મેળો માધવપુર ઘેડ ખાતે ચાર દિવસ અને એક દિવસ દ્વારકા એમ કુલ પાંચ દિવસ સુધી યોજાનાર છે. સુદૂર ઉત્તરપૂર્વી રાજ્યોના કલાકારો, ખાદ્યપાકશાસ્ત્રીઓ પણ અહીં પધાર્યા છે. જેનાથી બન્ને સંસ્કૃતિઓ વચ્ચેનું આદાનપ્રદાન પણ વધુ ગહન બનશે. જેનાથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના વધુ મજબૂત બનશે.
પોરબંદર કલેક્ટર  કે.ડી.લાખાણીએ આભારદર્શન કરતાં જણાવ્યું હતું કે, માધવપુર મેળાની પરંપરાઓ અકબંધ રાખતાં એક મહિનાની વહીવટી તંત્રની વ્યાપક તૈયારીઓથી આ મેળાને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ માટે જેણે પણ સાથ-સહયોગ આપ્યો છે. તેવા તમામ વિભાગો અને ઉત્તર-પૂર્વ રાજ્યના વિવિધ વિભાગોના સહકારની પણ તેમણે સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો. કલેક્ટરશ્રીએ અહીં લોકસુવિધાને અગ્રતા આપવા માટે જિલ્લાની ટીમે આપેલા સહયોગ અને સૌએ કરેલા પરિશ્રમ અંગે આભારની લાગણી વ્યક્ત કરી પરમકૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા સૌ પર રહે એવી અભ્યર્થના કરી હતી.
   આ મેળાની શરૂઆત દિપ પ્રાગટ્યથી થઈ હતી અને નોર્થ-ઈસ્ટના કલાકારો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે વાતાનુકૂલિત ડોમમાં મોટી સંખ્યામાં મેળાના મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને રાજ્યપાલ સહિત મહાનુભાવોએ ઉત્તર-પૂર્વ અને ગુજરાતના કલાકારોની ‘મંગલ માધવપુર’ નામે સાંસ્કૃતિક પ્રસ્તુતિ નિહાળી હતી.
આ પ્રસંગે પ્રવાસન અગ્રસચિવ હારિત શુક્લા, યુવક સેવા અને સાંસ્કૃતિક સેવાઓના કમિશનર આલોકકુમાર પાંડે, ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડના એમ.ડી અને કમિશનર એસ.છાકછૂઆક, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત સચિવ  ડી.કે.વસાવા, દેવભૂમિ દ્વારકા કલેક્ટર જી.ટી.પંડ્યા અને માધવપુર ઘેડના પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(10:00 pm IST)