Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કોરોના સામે રસી છે સુરક્ષા કવચ તો સતર્કતા અટકાવશે સંક્રમણ : ગોંડલના પાટીદડમાં કોવિડ -૧૯ જાગૃતતા કાર્યક્રમ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફીલ્ડ આઉટરીય બ્યુરો, જૂનાગઢ દ્વારા યોજાયો વિશેષ જનસંપર્ક કાર્યક્રમ

ગોંડલ,તા. ૧૩: કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય, ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી કોવિડ-૧૯ જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદડ ગામે વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કોવિડ-૧૯ રસીકરણ અભિયાન તેમજ કોવિડ-૧૯ જાગૃતતા અભિયાન અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં ગોમટા પીએચસીના મેડીકલ ઓફિસર ડો.યશપાલ, ગોંડલ તાલુકા સંકલીત બાળ વિકાસ કેન્દ્રના સીડીપીઓ ઇન્દુબેન આસોદરીયા, તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી અનુરાગ પરમાર તેમજ પાડીદડ ગામના સરપંચ વિજયાબેન ઢોલની ઉપસ્થિતિ રહી હતી.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો,જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું કે આ વિશેષ જનસંપર્ક કાર્યક્રમનો હેતું લોકો કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા જાગૃત બને, સર્તકતા અને જાગૃતતા દાખવે અને એ પ્રકારે સુરક્ષીત રહે તે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને કોવિડ-૧૯ વિશે જાણકારી સાથે તેનાથી બચવાના ઉપાયોની માહિતી મળે તેમજ કોવિડ-૧૯ રસી વિશેની ગેરસમજ કે ગેરમાન્યતાઓ દૂર થાય અને લોકો રસી લઇ કોરોના સામ સામે રક્ષણ મેળવે તે માટે આ જાગૃતતા અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમો હાથ ધરાઇ રહ્યાં છે. વધુમાં તેમણે જણાવ્યું કે રસીએ કોરોના સામે રક્ષણ મેળવવા આપણુ સુરક્ષા કવચ છે તો આપણા સૌની સતર્કતા અને જાગૃતતા એ કોરોના સંક્રમણ ને અટકાવવાનો કારગર ઉપાય છે.

મેડીકલ ઓફિસર ડો.યશપાલે કોવિડ-૧૯ મહામારી સામે લડવા અને આવનાર સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા સરકારના આરોગ્ય વિભાગની તૈયારીઓની માહિતી આપવાની સાથેસાથે જણાવ્યું કે આરોગ્ય વિભાગ અને આરોગ્યકર્મીઓ તો કોરોનાને હરાવવા સજ્જ છે પરંતુ કોરોના સામેની લડાઇને જીતવા દેશના તમામ લોકોનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે. આપણે સૌ અફવાઓથી દૂર રહીયે, ખોટી માહિતીનો ફેલાવ પણ ન કરીએ, કોવિડ અનુરૂપ વ્યવહારોનું ચૂસ્તપણે પાલન કરીએ અને રસી અવશ્ય મુકાવી લઇએ. જો આમ કરીશું તો કોરોના સામેની લડાઇ ચોક્કસ જીતી શકીશું. સીડીપીઓ શ્રીમતી ઇન્દુબેને કોરોના સંક્રમણથી બચવા રોગપ્રતિકારક શકિત વધારવાની બાબત પર ભાર મૂકતાં જણાવ્યું કે સંભવીત ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધુ થવાની સંભાવના વ્યકત થઇ રહી છે ત્યારે બાળકોની રોગપ્રતિકારક શકિત વધારવા તેમને પોષ્ટીક આહાર આપવો ખૂબ જરૂરી છે. બાળકોનાં ઉછેરમાં વિશેષ કાળજી રાખી બાળકોની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે માતાઓએ વધુ જાગૃત રહેવાની જરૂર છે. તેમણે પૌષ્ટીક આહારનું મહત્વ સમજાવવાની સાથે પૌષ્ટીક વાનગીઓ કેવી રીતે બનાવી શકાય તેની સમજ પણ આપી હતી સાથેજ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આવી પૌષ્ટીક વાનગીઓનું નિદર્શન પણ રાખ્યું હતું.

સરકારની કોવિડ માર્ગદર્શીકાના પાલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રશ્નોત્ત્।રી સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતાં. કાર્યક્રમમાં ગ્રામપંચાયતના સભ્યો, આંગણવાડી વર્કર બહેનો, આરોગ્ય કર્મચારીઓ સહિત  ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનાથી કાર્યક્રમનો હેતું સાર્થક થયો  હતો.

(10:59 am IST)