Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કચ્છ કોરોનાના પંજામાં, વધુ ૧ મોત અને નવા કેસ ૩૧ કેસ, ધારાસભ્ય, પોલીસકર્મી, પીજીવીસીએલના ઈજનેર સહિત સ્ટર્લિંગ હોસ્પિટલના વધુ બે તબીબને કોરોના

ભુજ :કચ્છમાં કોરોનાનો કાતિલ પંજો હવે મોટેપાયે વિસ્તરી રહ્યો છે. ખાસ કરીને નવા પોઝિટિવ કેસની સંખ્યા ઉપરાંત દર્દીઓના મોતની સંખ્યા પણ વધી રહી છે. ભુજના રહેવાસી ૭૧ વર્ષીય કરસનજી રાઠોડ નામના વૃદ્ધે દમ તોડી દેતાં કચ્છમાં કોરોનાએ ભોગ લીધેલી માનવ જિંદગીની સંખ્યા વધીને ૪૨ થઈ ગઈ છે. તો, નવા ૩૧ પોઝિટિવ કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને ૯૧૭ થઈ છે.

  નવા કેસમાં સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામના વધુ બે તબીબો ડો. પ્રતીક ભારદ્વાજ અને ડો. કૃણાલ ઠકકરને કોરોના પોઝિટિવ ડિરેક્ટ થયો છે. એ સાથે જ સ્ટર્લિંગ હોસ્પિટલના સ્ટાફના અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસ ૬ થયા છે. જેમાં ૪ તબીબ, ૨ નર્સિંગ સ્ટાફ છે. એ ઉપરાંત પૂર્વ કચ્છ રાપરમાં ફરજ બજાવતા પીજીવીસીએલના બે ઇજનેરો મનોજ ચૌધરી અને રાજેશ શર્માને કોરોના ડિટેકટ થતાં સ્ટાફ ઉપરાંત વીજ ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.

 જોકે, સૌથી વધુ ફફડાટ ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય અને તેમના પુત્ર મુકેશ આચાર્યને કોરોના થયો હોવાના સમાચારે સર્જ્યો છે. આજે મોડેથી ડો. નીમાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ભાજપના કાર્યકરો, આગેવાનો ઉપરાંત ૧૫ ઓગષ્ટ ધ્વજ વંદનમાં ડો. નીમાબેનને મળનાર અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધીના આંકડાઓ ઉપર નજર કરીએ તો કચ્છ જિલ્લામાં ૨૩૪ એક્ટિવ કેસ છે. ૬૪૧ જણા સાજા થયા છે. મોતની સંખ્યા ૪૨ થઈ છે. કુલ દર્દીઓ ૯૧૭ થયા છે.

(8:47 am IST)