News of Tuesday, 18th August 2020
ભુજ : કચ્છમાં આજે ભુજ, અંજાર, માંડવી, નખત્રાણામાં પડેલા ભારે વરસાદને પગલે જળબંબોળની પરિસ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને માંડવી પંથકમાં ગઈકાલે છ ઈંચ અને આજે સાડા ત્રણ ઈંચ વરસાદ પડતાં કચ્છની મોટી સિંચાઈ હેઠળ આવતો વિજયસાગર ડેમ ઓવરફ્લો થતાં રાયણ, કોડાય સહિત અનેક ગામોની નદીઓ ગાંડીતુર બની હતી. તો, અનેક ગામડાઓમાં વાવણી કરેલા ખેતરો ધોવાઈ ગયા છે. જોકે, વિજયસાગર ડેમનું ઓવરફ્લો પાણી રૂકમાવતી નદી વાટે માંડવીમાં પ્રવેશ્યું છે.
રૂકમાવતી બે કાંઠે વહેતાં માંડવીની નાગનાથ સોસાયટી, નંદનવન સોસાયટી, સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર પાણી ભરાયા હતા. જોકે, હજીયે માંડવીમાં ભય છે. મામલતદાર અને માંડવી પાલિકા બન્ને એલર્ટ છે. પાલિકા પ્રમુખ મેહુલ શાહે રાત્રે દરિયાની ભરતીના કારણે નીચાણવાળા વિસ્તારોમા રહેતા લોકોને એલર્ટ રહેવા અપીલ કરી છે. બીજી બાજુ નખત્રાણામાં આજે સાંજે ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ પડતાં નખત્રાણા શહેર ઉપરાંત હાઇવે ઉપર પણ પાણી ભરાયા હતા.
માંડવી, નખત્રાણા વચ્ચે આવેલા સણોસરા ગામે આજે બપોરે વીજળી ત્રાટકી હતી. આ સમયે પોતાના ઘરની બહાર મોબાઈલ ઉપર વાત કરી રહેલા ૩૫ વર્ષીય જીવરાજ જશા નામના યુવાનનો વીજળીએ ભોગ લેતાં તેનું મોત થયું હતું. તો, અંજારમાં આજે ચાર ઈંચ વરસાદે ચારે તરફ પાણી પાણી કરી નાખ્યું હતું. શહેરના રસ્તા ઉપરાંત સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા હતા. અહીં પાતાળેશ્વર મહાદેવ મંદિર પાણીના કારણે ડૂબ્યુ હતું. મુન્દ્રામાં ગઈકાલે ૬ ઇંચ વરસાદ પછી આજે છૂટો છવાયો ત્રણેક ઇંચ વરસાદ પડ્યો હતો.
કુંદરોડી, છસરા વિસ્તારમાં વરસાદને પગલે અહીં આવેલા બે ડેમ ખેંગારસાગર અને છસરા ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસમાં આવેલા ગામોને એલર્ટ અપાયું હતું. મુન્દ્રામાં આવેલ એક ખાનગી કન્ટેનર સ્ટેશનમાં પાણી ઘૂસતા મહાકાય કન્ટેનર પાણીમાં તણાયું હતું. ભુજમાં અઢી ઈંચ વરસાદને પગલે ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. હમીરસર તળાવમાં નવું પાણી આવતા લોકોમાં ઉમંગ ફેલાયો હતો