Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સ્વ. ઇંદિરા ગાંધીની ૧૦૩મી જન્મ જયંતી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા. ૧૯: આજથી બરાબર ૧૦૩ વર્ષ પહેલા ૧૯ નવેમ્બર ૧૯૧૭ના દિવસે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ નહેરૂ પરિવારમાં અલ્હાબાદના આનંદ ભવન ખાતે જન્મ લીધો હતો. રાષ્ટ્રપ્રેમ અને દેશ ભકિત બાળપણથી જ તેમની રગોમાં દોડતા હતા. સમગ્ર દેશમાં અંગ્રેજો વિરૂદ્ધ ચાલતી અસહકારની ચળવળ તથા અંગ્રેજ હટાવ ઝુંબેશનો પ્રભાવ બચપણથી પડયો હતો. રવિન્દ્રનાથ ટાગોરના શાંતિ નિકેતનમાં શિક્ષણ માટે ગયેલા ઇન્દિરાજીને ભારતીય સંસ્કૃતિનો અહીં નજીકથી પરિચય થયો વધુ અભ્યાસાર્થે તેઓ પછીથી સ્વીટ્ઝર્લેન્ડ ગયા. ઔપચારિક શિક્ષણ ઉપરાંત પિતા જવાહરલાલએ વિશ્વ ઇતિહાસની ઝાંખી ઇન્દિરાજીને કરાવી હતી. દીકરીને જીવન ઘડતરમાં ઉપયોગી થયા એવા પત્રો પણ લખેલા તે દરમિયાન ઇન્દિરાજીની કાર્યશૈલી ચાણકયની વધુ નજીક હોય તેવું જણાતું હતું. આમ છતાં પરીશ્રમ જેવા લક્ષણો ઇન્દિરાજીમાં સ્પષ્ટ જોવા મળતા હતા.

૧૯પપ ની સાલમાં ઇન્દિરા ગાંધીએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું. કોંગ્રેસ કમિટિના સભ્ય બન્યા અને ૧૯પ૯ માં કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમની વરણી થઇ. કોંગ્રેસને સંગઠીત કરવા તેમણે ભારે જહેમત ઉઠાવી પ્રજાની નીકટ રહીને તેમણે લોકચાહના મેળવી. ૧૯૬ર માં ભારત પર થયેલા ચીનના આક્રમણ સમયે ઇન્દિરાજીએ સૈનિકોને હિંમત પૂરી પાડી ગંભીરતાપૂર્વક સામનો કરવા માર્ગદર્શન આપી આત્મબળ આપ્યું હતું. ૧૯૬૯માં કોંગ્રેસ ભાગલા પડયા. ઇન્દિરા કોંગ્રેસનો ઉદય થતા તેમણે ગરીબી હટાવનું સુત્ર આપ્યું અને આ સુત્રની ઘોષણાથી રાષ્ટ્રમાં નવી ચેતનાનો સંચાર થયો હતો.

ત્યારબાદ પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે પાકિસ્તાનને ચુપ કર્યા બાદ વિશ્વમાં ઇન્દિરાજીના નામનો ડંકો વાગી ગયો તેમની આ બહાદુરીની વિશ્વના દરેક દેશોએ નોંધ લીધી હતી અને ભારત સરકારે પણ તેમને ભારત રત્નના એવોર્ડથી પુરસ્કૃત કર્યા હતા. ત્યારબાદ પંજાબ પ્રશ્ન ગંભીર બન્યો, અલગ ખાલીસ્તાનની માંગણીએ જોર પકડયું છતાં જાનના જોખમે તેમણે સુવર્ણ મંદિરમાં લશ્કરી કામગીરી આરંભી અને જીંદગીની છેલ્લી ક્ષણ સુધી ઝઝુમ્યા તેમના અંતિમવર્ષો આપતિના વર્ષો હતા. જુવાનજોધ પુત્રનું અવસાન નાની પુત્રવધુએ છોડેલો સાથ અને પંજાબ જેવા રાજયોના સંકટોએ તેમની શકિત નીચોવી દીધી હતી. આમ છતાં રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોચ્છાવર કરવાની તેમની પુર્ણ તૈયારી હતી. મૃત્યુના આગલા દિવસે જાહેરસભામાં તેમણે જણાવ્યું હતું  કે રાષ્ટ્રની સેવા કરતા હું મૃત્યુ પામીશ તો મને ગર્વ થશે. મારા લોહીનું એક એક ટીપું રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપશે અને દેશને મજબૂત બનાવશે એવો વિશ્વાસ તેમણે જાહેર કર્યો હતો. પરંતુ કમનસીબે બીજે જ દિવસે એટલે કે તા. ૩૧મી ઓકટોબર ૧૯૮૪ના બુધવારની સવારે ખાલીસ્તાન તરફીઓએ તેમને બંદુકની ગોળીએ વિંધી દીધા આમ દેશની મહાન નેતા, નારી શકિતનો અંત થયો.

(11:51 am IST)