Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

રવિવારે ચાંપરડામાં રાજગોર બ્રાહ્મણ હેલ્થગ્રૃપ રાજકોટ દ્વારા પરિચય પુસ્તિકા તથા યુવા પસંદગી સમારોહ અને મોબાઇલ એપ્લીકેશનનું પુ.મુકતાનંદ બાપુના હસ્તે વિમોચન

ભૂપતભાઇ મહેતા અને તેની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૯ :  આગામી તા. ર૧ ને રવિવારના રોજ ચાંપરડાના બ્રહ્માનંદ વિધાધામમાં પૂ. મુકતાનંદબાપુ અને પૂ. નિલકંઠચરણદાસજીની પ્રેરણા અને આશિર્વાદથી તેમજ ગિજુભાઇ ભરાડના માર્ગદર્શન હેઠળ શ્રી રાજગોર બ્રાહ્મણ હેલ્થ ગ્રુપ રાજકોટના ભૂપતભાઇ મહેતા અને તેની ટીમ દ્વારા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતી વૈવિશાળ પરિચય પુસ્તિકાનું વિમોચન તથા યુવા પસંદગી સમારોહ અને મોબાઇલ એપ્લીકેશનનું લોચીંગ પૂ. મુકતાનંદબાપુના હસ્તે કરવા માટેનું ભવ્ય આયોજન કરાયું છે.

રવિવારે સવારે ૯ થી ૪ કલાક સુધી યોજાનાર આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારી થઇ રહી છે. જેમાં બે સેશનમાં યોજાનાર આ કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં સવારે ૯ થી ૧ પૂ. મુકતાનંદ બાપુ દિપ પ્રાગટય કરી પ્રારંભ કરાવ્યો અને કોરોના કાળ દરમ્યાન અવશાન પામેલ મૃતકોને શ્રધ્ધાંજલી તથા પી.પી. રવિયાને તેમજ સ્વ.ગુણવંતભાઇ ગંગારામભાઇ મહેતાને સ્મરણાજલી રૂપે પુષ્પાજલી અપાશે તેમજ ભાવિન જોષી શાબ્દીક ઉદ્બોધન કરશે અને લોકસંગીત અને હાસ્યરસ પ્રફુલ્લ જોષી પિરસશે તેમજ કોરોના વોરિયર્સનું સન્માન પણ કરાશે. અને ત્રિવીધ કાર્યક્રમમાં પૂ. મુકતાનંદબાપુ સહિતના સંતો આશિર્વચન આપશે ત્યાર બાદ ભોજન પ્રસાદ અને બીજા સેશનમાં યુવા પસંદગી સમારોહમાં ભાગ લેનાર યુવક યુવતીઓના ફોર્મ અજયભાઇ તેરૈયાને મોકલી આપવાના રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા રાજગોર બ્રાહ્મણ હેલ્થ ગ્રૃપ રાજકોટના કિશન તેરૈયા દેવાંગરવિયા અજય તેરૈયા અશોકભાઇ જોષી તથા ભૂપતભાઇ મહેતા તેમજ વ્યવસ્થાપક સમિતિના ચંદભાઇ જોષી, ભાવિનભાઇ જોષી, ગિજુભાઇ વિકમા ભાનુભાઇ જોષી, સી.વી.જોષી, કાળુભાઇ વેગડા નિખીલ તેરૈયા, રાજુભાઇ જોષી, દિપકભાઇ તેરૈયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમનું સંચાલન ગિરધરભાઇ જોષી કરશે તેમજ આ કાર્યક્રમમાં મોટી વેશનલ સ્પીકર તરીકે દિક્ષીત તેરૈયા ઉપસ્થિત રહેશે. 

(3:29 pm IST)