Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂ. ભાઇશ્રીના માર્ગદર્શનમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનથી અનેક દિવ્‍ય અને આધ્‍યાત્‍મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી.

મહાશિવરાત્રીના મહાપર્વમાં સાંદીપનિ વિદ્યાનિકેતન સ્‍થિત રહી હરિમંદિરમાં સવારે ભગવાન શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવ પર ઋષિકુમારો દ્વારા ષોડશોપચાર પૂજન પૂર્વક લઘુરૂદ્રાભિષેક કરવામાં આવ્‍યો હતો. આ વર્ષે અનેક મનોરથીઓ આ દિવ્‍ય અભિષેકવિધિમાં વર્ચ્‍યુઅલી જોડાયા હતા. જેના પ્રતિનિધિરૂપે ઋષિકુમારોએ પૂજા-અભિષેકવિધિ સંપન્‍ન કરી હતી. અભિષેક બાદ મધ્‍યાન્‍હમાં મહાઆરતી સંપન્‍ન કરવામાં આવી. આ સાથે-સાથે સાંદીપનિની યજ્ઞશાળામાં ગુરૂજનો અને ઋષિકુમારો દ્વારા શાષાોકત વિધિ વિધાન સાથે હોમાત્‍મક લઘુરૂદ્ર યજ્ઞ પણ કરવામાં આવ્‍યો. જેમાં પૂર્ણાહુતિમાં ગુરૂજનો અને સર્વે ઋષિકુમારો ઉપસ્‍થિત રહ્યા હતા.

પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ પ્રત્‍યેક વર્ષ અનુસાર આ વર્ષે પણ વિશ્‍વમાં સુપ્રસિદ્ધ એવા બાર જયોતિર્લીંગમાંના એક વારાણસીના કાશીવિશ્‍વનાથના મંદિરમાં ઉપસ્‍થિત રહીને લઘુરૂદ્રાભિષકેક કર્યો હતો. આ સાથે શિવરાત્રી મહોત્‍સવ અંતર્ગત ત્રણ દિવસ તા. ૧૭-૦ર-ર૦ર૩ થી તા. ૧૯-૦ર-ર૦૩ સુધી ૩રમા ત્રિદિવસીય સંગીત મહોત્‍સવમાં પણ પૂજય ભાઇશ્રી ઉપસ્‍થિત રહ્યા હતા અને સંગીત સમારોહમાં પોતાની શ્રેષ્‍ઠ કલાઓનું પ્રદર્શન કરનારા સંગીતકલાકારો અને નૃત્‍યકારોને સન્‍માનિત કરીને આશીર્વાદ આપ્‍યા હતા. આ અગાઉ પૂજય કાર્ષ્‍નિ ગલુરૂશરણાનંદજી મહારાજ, મલુકાપીઠાધિશ્‍વર પૂજય રાજેન્‍દ્રદાસજી મહારાજ સાથે પૂજય ભાઇશ્રી કાશીવિશ્‍વનાથધામમમાં યોજાયેલ સાત દિવસીય પંચક્રોશી યાત્રામાં પણ જોડાયા હતા. કાશીમાં રહીને વિદ્યાદેવીની ઉપાસના કરનારા અને અવિરત પોતાના જ્ઞાન દ્વારા અધ્‍યાપન કરાવનારા વિદ્વાનોનું પણ પૂજય ભાઇશ્રીએ ભાવપૂજન કર્યું હતું.

પોરબંદરથી ૯ કિ.મી. દુર આવેલા બાબડા ગામે કે જયાં સાંદીપનિ સ્‍થિત સંસ્‍કૃત પાઠશાળાની સૌ પ્રથમ શરૂઆત થઇ હતી એવા દિવ્‍ય સ્‍થાન બાબડેશ્‍વર મહાદેવને ત્‍યાં પ્રત્‍યેક મહાશિવરાત્રી પર પૂજય ભાઇશ્રીની પ્રેરણાથી ઋષિકુમારો દ્વારા લઘુરૂદ્રાભિષકે કરવામાં છે. એ રીતે આજે પણ ૧૧ ઋષિકુમારો દ્વારા વિધિપૂર્વક બાબડેશ્‍વર મહાદેમવ પર લઘુરૂદ્રાભિષેક કરવામાં આવ્‍યો.

સાંજે શ્રી હરિમંદિરમાં ભગવાન શ્રીચંદ્રમૌલીશ્‍વરના ગર્ભગૃહમાં અમરનાથના દિવ્‍ય શૃંગાર દર્શન યોજાયા હતા. જેના દર્શનનો અનેક દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. એ સાથે મહાશિવરાત્રીમાં પ્રહરપુજા-અભિષેકનું મહત્‍વ હોય રાત્રે ૯-૦૦ થી બીજા દિવસે સવારે ૬-૦૦ સુધી એમ ત્રણ પ્રહરમાં પૂજા-અભિષેક સંપન્‍ન થયા હતા અને રાત્રે ૧ર-૦૦ વાગ્‍યે શ્રી ચંદ્રમૌલીશ્‍વર મહાઆરતી સંપન્‍ન થઇ હતી. શ્રી હરિ મંદિરમાં થયેલા આ તમામ પૂજાવિધિ, અભિષેક અને આરતીનું  sandipani.tv પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્‍યું હતું. જેના માધ્‍યમથી અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

(1:06 pm IST)