Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વમાં યોગ યાત્રા: આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ગુજરાતની ૭૫ ઐતિહાસિક ધરોહરોને આવરી લેતું આયોજન

ડો. પ્રીતિબેન ગૌતમ અદાણીના માર્ગદર્શન હેઠળ ૭૫ સ્થળોએ ૩૬૦૦૦ લોકો યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

 યોગના સથવારે તંદુરસ્તીના સંદેશના પ્રસાર માટે તા.૨૧ જૂન, ૨૦૨૨ના રોજ આંતર રાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે ૩૬,૦૦૦ યોગાસ્વીનીઓ ગુજરાતના સ્થાપત્ય સ્થળો, સીમાચિહ્નરૂપ સમા સ્થાપત્યો અને પ્રવાસન સ્થળોએ યોગાસનોની પ્રસ્તુતિ કરશે

ભારત દેશની સ્વતંત્રતાના ૭૫માં વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવ શિર્ષક અંતર્ગત દેશભરમાં થઇ રહેલી ઉજવણીમાં સામેલ થવાની નેમ સાથે અદાણી ફાઉન્ડેશને રાજ્યમાં યોગ યાત્રાનું આયોજન કર્યું છે.  

આ યાત્રા ગુજરાતભરમાં આવેલા  પુરાતત્વીય સ્થળો, પૂરાતનના અજોડ વારસાની સીમાચિન્હરૂપ ઐતિહાસિક ધરોહરો અને પ્રવાસન મથકો મળી ૭૫ સ્થળોને સાંકળી લેશે. ગુજરાતના સમૃદ્ધ અને જીવંત સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરવાના ધ્યેયથી પસંદ કરવામાં આવેલા ગુજરાતના આ ૭૫ સ્થળોમાંના પ્રત્યેક સ્થળો સાથે એક યાદગાર ઇતિહાસ જોડાયેલો છે અને આ પૈકીના અનેક આદરણીય ધર્મ સ્થળો છે.   

    ગુજરાતની પારંપારિક અદભૂત સંસ્કૃતિ, ઈતિહાસ, બેનમૂન સ્થાપત્યની અજાયબીઓ, પ્રાકૃતિક ઈકો-સિસ્ટમ અને વૈવિધ્યસભર ભૂગોળની પૃષ્ઠભૂમિમાં યોગના ફાયદાઓ દર્શાવતી માટે રાજ્યભરમાં યોગ પ્રદર્શનોનું ટૂંકી ફિલ્મોના રૂપમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ સામગ્રી દર્શકો માટે વિવિધ ઓનલાઈન અને બ્રોડકાસ્ટ પ્લેટફોર્મ પર સરળતાથી નિહાળી શકાય તેવા ફોર્મેટમાં ઉપલબ્ધ છે. વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા,ગુજરાતના અણમોલ સૌંદર્યના પ્રચાર પ્રસાર કરવા વિવિધ યોગ મુદ્રાઓ સાથે જાણીતા સંગીત નિર્દેશક સચીન-જીગરે સ્વરાંકન કરેલ અને મશહૂર ગાયક શંકર મહાદેવને ગાયેલ ‘યોગ કરો”ગીતનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગીતમાં પ્રસ્તુત કરવામાં આવેલા આસનો ઘટકો કે મુદ્રાઓને ચોક્કસ સ્થળ જેવા કે ગિર જંગલના સિંહાસન,વૃક્ષાસન, મયુરાસન સાથે સાંકળી લેવામાં આવી છે.

“આ યોગ યાત્રાનો દરેક એપિસોડ દર્શકો અને યોગ ઉત્સાહીઓને રાજ્યના સૌથી નોંધપાત્ર સ્થળો અને યોગની પ્રેક્ટિસના અસંખ્ય પાસાઓની ધ્યાનાકર્ષક સફરે લઈ જઈને ગુજરાતની નયનરમ્ય સુંદરતા અને ભાતીગળ ભવ્યતાને ઉજાગર કરે છે’’. એમ જણાવી અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો.શ્રીમતી પ્રીતી અદાણીએ કહયું છે કે  “આપણે શું હતા અને આપણે કેવા હોવું જોઈએ તે શોધવા માટે આપણા પ્રાચીન મૂળ અને સાંસ્કૃતિક વારસાને જાણી, તેની અનુભૂતિ કરીને તેની સાથે આપણી જાતને જોડવી અતિ મહત્વપૂર્ણ છે. યોગ એ વિશ્વને ભારતની ભેટ છે. તે માત્ર તંદુરસ્તીનો જ માર્ગ નથી, પરંતુ સ્વાસ્થય સંભાળ અને સર્વગ્રાહી સુખાકારી તરફની સફર છે.”

ભારત સરકારે આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી અને સ્મૃતિ જાળવવા માટે કરેલી પ્રસંશનિય પહેલનો આ યોગ યાત્રા આઝાદી કા અમૃત મહોત્સવનો એક હિસ્સો છે, આ યોગ યાત્રામાં ગુજરાતના ૭૫ પર્યટન અને પુરાતન સ્થળોને આવરી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે ૧૯૯૬માં સ્થાપવામાં આવેલા અદાણી ફાઉન્ડેશનની સમાજોત્થાનની ક્ષિતિજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની ટીમ સાથે દેશના ૧૮ રાજયો અને ૨૪૧૦ નગરો અને ગામડાઓ સુધી વિસ્તરી છે. જે લોક કલ્યાણના અવનવા આયામો અમલમાં મૂકીને લોકોને તેની સાથે જોડે છે. ૩૦ લાખ ૬૭ હજારથી વધુ લોકોની જીંદગી સાથે જોડાઇને શિક્ષણ, જન આરોગ્ય, લાંબા ગાળાના જીવન નિર્વાહ વિકાસ અને આંતર માળખાકીય વિકાસ એવા ચાર ક્ષેત્રો ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવા સાથે ગ્રામ્ય અને શહેરી સમાજના લાંબાગાળાના વિકાસ અને સંમિલ્લીત વૃધ્ધિ સાથે સામાજીક મૂડીનું સર્જન કરવાની દીશામાં પૂરી સંવેદનશીલતા સાથે અદાણી ફાઉન્ડેશન રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપતા રહી આગળ વધી રહ્યું છે.

(10:20 am IST)