Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

શહીદોના ત્‍યાગ, સમર્પણ અને સાહસના પરિણામે આઝાદ ભારતનું સ્‍વપ્‍ન સાકાર થયું : હર્ષ સંઘવી

વિરા એ ફાંસી રે નહીં ફૂલમાળ... : જામનગરના પ્રદર્શન ગ્રાઉન્‍ડ ખાતે હજારો નગરજનોની ઉપસ્‍થિતિમાં વીરાંજલી કાર્યક્રમ યોજાયો : ગૃહ રાજ્‍યમંત્રીની પ્રેરણા ઉપસ્‍થિતિમાં વતન માટે પોતાના પ્રાણોની આહુતી આપનાર શહીદોને વીરાંજલી અર્પણ કરાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૦ : રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્‍સવ અંતર્ગત દેશના સ્‍વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાયો.જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્‍ડ ખાતે હજારો નગરજનોની ઉપસ્‍થિતિમાં આ મલ્‍ટીમીડિયા શો થકી વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવી.

આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું કે, આજનો સમય અલગ છે. આજે દેશ માટે મરવાનો નહીં પરંતુ કંઈક કરવાનો સમય છે. દેશ માટે શહાદત વહોરનારા વીરોના બલિદાનોના કારણે આજે આપણે આઝાદીનો અમૃત મહોત્‍સવ મનાવી રહ્યા છીએ તેમ જણાવી મંત્રીએ દેશના વીરોની ગાથાને બિરદાવી હતી. સમગ્ર જામનગરને દેશભક્‍તિના રંગે રંગવા બદલ મંત્રીએ વીરાંજલી કાર્યક્રમના આયોજકોને પણ આ તકે બિરદાવ્‍યા હતા. મંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે છેલ્લા ૬ માસમાં ૪ હજાર કરોડથી વધુનું ડ્રગ્‍સ પકડી સરકારે દેશના ડ્રગ્‍સના નેટવર્કને નાકામ કર્યું છે. સરકારે મક્કમ નિર્ધાર કરી દુષ્‍કર્મ કેસના આરોપીઓને ત્‍વરિત સજા મળે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરી છે. સાથે સાથે વ્‍યાજના દુષણને ડામવા પણ ગુજરાત પોલીસ તત્‍પર છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

જામનગરની ઐતિહાસિક ધરા પરથી ભારતના વીર સપૂતોની શહિદીની ગાથાની સાથે સાથે સાંપ્રત સમયમાં આપણે શું કરી શકીએ તેની વાત આ કાર્યક્રમ થકી કરવામાં આવી. પ્રસિદ્ધ સાહિત્‍યકાર સાંઈરામ દવે અને તેમની ટીમના ૧૦૦ જેટલા કલાકારો દ્વારા અત્‍યાધુનિક ટેક્‍નોલોજીના સમન્‍વયથી આજના યુવાનોને ગમે તેવી ભવ્‍ય રજૂઆત દ્વારા ઝાંસીની રાણી, ભગતસિંહ, સુખદેવ, રાજયગુરૂ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મુરૂ માણેક-જોધા માણેક, અશ્‍ફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ સહિતના નામી-અનામી સ્‍વાતંત્ર્યવીરોની રાષ્ટ્રભાવનાની વાત રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્‍ય આર.સી.ફળદુ તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મેયર બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા,  ભરતભાઈ બોઘરા, જિલ્લા પ્રભાર અભયસિંહ ચૌહાણ, ડે. મેયર તપન પરમાર, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન મનિષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કલેકટર ડો.સૌરભ પારઘી, કમિશનર શ્રી વિજય ખરાડી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ બહોળી સંખ્‍યામાં જામનગરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહામંત્રી સર્વે મેરામણભાઈ ભાટ્ટૂ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, રમત-ગમત સાંસ્‍કૃતિક સમિતીના ચેરમેન હર્ષાબા જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી

(11:24 am IST)