Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

તપસ્વી ગુરૂદેવ તો જાગતા દેવ છે, તેના ચરણે એકવાર મનથી ઝૂકે, તે અખૂટ પામે છે : સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.

તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી સ્વામીના ૧૦૦માં પુણ્ય સ્મૃતિદિનની ઉજવણી જેતપુર તપસ્વીજીની ઓરડી પર થઇ રહી છે

રાજકોટ તા. ૨૦ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા. ના સુશિષ્ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. એવં સદાનંદી પૂ. સુમતિબાઈ મ.સ. આદિ ઠાણા ૬ ના સાનિધ્યે પ્રગટ પ્રભાવી તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી સ્વામીનાં ૧૦૦માં પુણ્ય સ્મૃતિદિનની ઉજવણી જેતપુર તપસ્વીજીની ઓરડી પર થઈ રહી છે.

સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે તા.૧૯મી એ ૧૦૦માં પુણ્ય સ્મૃતિ દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી તપ-ત્યાગથી થઈ રહી છે. જિનશાસન જયોતિર્ધર પૂ. માણેકચંદ્રજી સ્વામીનો જન્મ વિ.સં. ૧૯૧પમાં, જેતપુર(કાઠી) માં પુણ્ય શાળી પિતા પ્રેમજીભાઈ ગાંધી, અને રત્નકુક્ષિણી માતા કુંવરબાઈના આંગણે થયો.માતાને સિંહનું સ્વપ્ન દર્શન થયેલ. બાલ્યવયમાં માતા-પિતા અવસાન પામ્યા. ૧૧ વર્ષની વયે વૈરાગ્ય જાગ્યો.

વિ.સં. ૧૯ર૮ માં પોષ વદ - ૮ નાં દીક્ષા ગ્રહણ કરી ગોંડલ સંપ્રદાયના પંચમ આચાર્ય પૂ. દેવજી સ્વામીના શિષ્યરત્ન બન્યા દીક્ષા માંગરોળ મુકામે થઈ. ત્યારબાદ તુરંત વડિલબંધુ પૂ. જયચંદ્રજી મહારાજ સાહેબની દીક્ષા પણ માંગરોળમાં થઈ અને આમ જય-માણેક બંધુ બેલડી ગોંડલ સંપ્રદાયને શોભાયમાન બનાવા લાગ્યા. વિશષ જ્ઞાન ઉપાર્જન માટે મારવાડમાં કિસનગઢમાં સમર્થ યોગીરાજ પ્રખરશા સ્ત્રવેતા પૂ. ફકીરચંદ્રજી મહારાજ સાહેબ બિરાજમાન હતા. ત્યાં તેમના સાનિધ્યમાં જ્ઞાન ઉપાર્જન અને વિશેષ સાધના તેમજ સિદ્ઘિઓ પ્રાપ્ત કરી.

દીક્ષા લેતા જ સદંતર પાણીનો આજીવન ત્યાગ, દરેક મિઠાઈ, મેવા-મુખવાશનો ત્યાગ, કેરીનો સર્વથાત્યાગ પ્રતિદિન આઠ દ્રવ્ય જ ભોજનમાં લેવા વૃતિસંક્ષેપ, ૧ર વર્ષ પર્યંત છાશમાં કાચો લોટ ભેળવીને સંયમ નિર્વાહ કર્યો. ૧૮ માસ પર્યંત છાસમાં લાકડાનો વેર(ભુસુ) ભેળવીને આહાર કર્યો. બે કલાકથી વધુ નિંદ્રાનો ત્યાગ, ગરમીમાં ધગધગતી રેતી ઉપર આતાપના લેતા. ઠંડીમા રાત્રે હાથ ઉંચા રાખી અલ્પવ સ્ત્રમાં ધ્યાનસ્થ બની જતા.

એક જ આસન પર ત્રણ કલાક જપ અને સ્વાધ્યાયનો અખંડ નિયમ પાલન કરતા આવી તો અનેક ઉગ્ર સાધના અને તપશ્યર્યા જેમના જીવનનું અભિન્ન અંગ હતી.

એક દેવ તેમને આધીન હતા. જે રોજ રાત્રે તેમની સેવામાં ઉપસ્થિત થતા હતા. શાસન રક્ષા, સંતરક્ષા માટે વેરાવળથી ગોંડલ સુધીનો ૧૧૦ માઈલનો વિહાર પાંચ કલાકમાં, પોરબંદરથી રાજકોટ સુધીનો ૧ર૦ માઈલનો વિહાર ચાર કલાકમાં કર્યો હતો. આવી તો અનેક સિધ્ધિઓ હોવા તાં તેમણે પ્રસિદ્ઘિ માટે કાંઈ જ ન કર્યું તે તેમની મહાનતા હતી. પ્રસિધ્ધિથી દૂર જ રહ્યા સૌરાષ્ટ્રમાં પાઠશાળાઓનો પ્રારંભ કર્યો.

સૌરાષ્ટ્ર, કચ્છ, મુંબઈ, રાજસ્થાન, મારવાડ, પંજાબમાં વિચરણ કર્યું. તપસ્વી ગુરૂદેવ શિષ્ય મંડળ સહિત ઠાણા - પાંચનું મુંબઈમાં પ્રથમવાર ચાતુર્માસ ચીંચપોકલીમાં વિ.સ. ૧૯૬૬ માં થયું. ત્યારે ત્યાં લાકડાનો ઉપાશ્રય હતો. બીજા કોઈ ઉપાશ્રય મુંબઈમાં ન હતાં. વિ.સં. ૧૯૬૭ નું ચાતુર્માસ કાંદાવાડીમાં કચ્છી સમાજની વાડીમાં થયું. મુંબઈ થી કાઠિયાવાડ પધારતા પ્રથમ અમરેલી પધાર્યા ત્યાં નવદીક્ષિત પૂ. ફૂલકુંવરબાઈ જે પૂ. દેવકુંવરબાઈની સમીપે દીક્ષિત થયેલ તેમને ત્યાં વિ.સ. ૧૯૬૭ માં વડદીક્ષા આપી.

વિ.સં. ૧૯૭૯ કારતક વદ તેરસને બુધવારની રાત્ર નવથી બાર ધ્યાન પછી નિંદ્રાધીન બન્યા. ત્યારે રાત્રે બે વાગ્યે દેવ પ્રગટ થયા ગુરુદેવ નિંદ્રામુકત થયાં અને દેવ દ્વારા જીવનની અંતિમ ઘડીનો સંકેત મળ્યો. ૧૯ દિવસનું આયુષ્ય જ શેષ છે, એ જાણી ત્યારે જ રાત્રે અઢી વાગ્યે વડીલબંધુ પૂ. જયચંદ્રજી મ.સા. ને જાગૃત કર્યા. પરિસ્થિતિથી વાકેફ કર્યા. સંથારો કર્યો. તે સ્થાન જૂની પાઠશાળા તરીકે આજે પણ જેતપુર માં પ્રચલિત છે. ત્યાં વિ.સં. ૧૯૭૯ માગસર સુદ - પૂનમને રવિવારે પરોઢિયે નશ્વર દેેહનો ત્યાગ કરી તેમનો આત્મા દિવ્ય લોક ગામી બન્યો.

જન્મભૂમિ જ નિર્વાણ ભૂમિ બની. જયાં પ્રથમ શ્વાસ લીધો હતો તે જ પુણ્યધરા પર અંતિમ શ્વાસ છોડયો. જેતપુરની પાઠશાળાનીએ પાવન ભૂમિ પર સંથારો કર્યો હતો. ૧૩ વર્ષ ની વયે દીક્ષા, ૫૧ વર્ષ નો સંયમ પર્યાય, ૬૪ વર્ષનું આયુષ્ય ભોગવીને નશ્વર દેહ ત્યાગીને અમર આત્મા શાશ્વત માર્ગે સિધ્ધાવી ગયો, નશ્વર દેહની અગ્નિ સંસ્કારવિધિ માટે ફૂલચંદભાઈ ગાંધીની વાડીમાં પાલખીયાત્રા પહોંચી હજારો ભકતોની ભીડમાં પૂ. ગુરૂદેવના જમણા પગના અંગુઠે સ્વયંભૂ અગ્નિ પ્રગટ થયો. તે સમાધિસ્થાન જયાં આજે તપસ્વીજીનો આશ્રમ, તપસ્વીજીની ઓરડી તરીકે પ્રખ્યાત છે. જયારે અઢારે વર્ણના લોકોની મનોકામના પૂર્ણ થાય છે. તપસી ગુરૂદેવ તો જાગતા દેવ છે. શ્રધ્ધા રાખે છે તે અખૂટ પામે છે, આજે પણ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

તા. ૧૯ ની નવકારશી અશ્વિનભાઈ પંચમીઆ પરિવાર તરફથી તેમજ બપોરે સાધર્મિક ભકિત મહામંત્ર પ્રભાવક પૂજય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં અનન્ય ભકત અમૃતલાલ માણેકચંદ પારેખ-સાંગલીવાળા હસ્તે ભારતીબેન મુકેશભાઈ શાહ વિલેપારલે મુંબઈ તરફથી રાખેલ.

પલખી પ્રતિક્રમણના લાભાર્થી શિલાબેન શૈલેષભાઈ માંઉ, રાઈય પ્રતિક્રમણના લાભાર્થી વિરેન્દ્રભાઈ બખાઈ અને જપ અને તપનાં અનુમોદક ચંદ્રિકાબેન પ્રફુલ્લભાઈ જસાણી રાજકોટ હતા. શ્રી તપસ્વીજી માણેકચંદજી ટ્રસ્ટનાં ટ્રસ્ટી વિનોદચંદ્ર હરિભાઈ જેચંદ દોશી પરિવારે જપસાધના અને પાલખીયાત્રામાં અનેરો લાભ લીધો. તેમ તપસ્વી માણેકચંદ્રજી સ્વામી આશ્રમનાં ટ્રસ્ટી બીપીનભાઈ ગાંધી અને દેવેનભાઈ ગાંધીની યાદીમાં જણાવ્યું છે.

(10:49 am IST)