Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના વેપારી રાહુલ વસાણીના મોતથી અરેરાટી

પલ્ટી મારેલા ટેન્કર પાછળ કાર ઘુસી ગઇ : મિતલેષભાઇને રાજકોટ ખસેડાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૦ : અકસ્માત માટે કુખ્યાત ગોંડલ હાઇવે પર જામવાડી પાસે પરોઢિયે પલ્ટી મારેલા ટેન્કર પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજકોટના ગુંદવાડીમાં રહેતા રઘુવંશી યુવાન રાહુલભાઈ કમલેશભાઈ વસાણી(ઉ.વ. આશરે ૨૩)નું મોત નીપજયું હતું. જયારે કાર મા બેઠેલા મિતલેષભાઈ પરેશભાઈને ગંભીર ઇજા થતાં ગોંડલ સિવિલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાવની જાણ થતાં હાઇવે ઓથોરિટના રૂટ પેટ્રોલિંગ ઓફિસર મયુરસિંહ જાડેજા, સોયબભાઈ, વિજયભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ગોંડલ તાલુકા પોલીસને પણ જાણ કરાઈ હતી. રાહુલભાઈ અને મિતલેષભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાંથી બાદ મા બન્નેને રાજકોટ સિવિલમાં રીફર કરાતા તબીબોએ રાહુલભાઈને મૃત જાહેર કર્યા હતા. જયારે મિતલેષભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ માથી ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા.

ગત રાત્રે સિમેન્ટ- કોન્ક્રીટનું ટેન્કર પલ્ટી મારી ગયું હોય ત્યા બેરીકેટ મુકાયા હતા. પરંતુ વહેલી સવારે કાર ચાલકનું રોડ પર પલ્ટી મારેલા ટેન્કર પર ધ્યાન ન પડતા અકસ્માત સર્જાયો હતો. મૃતક રાહુલભાઈ કાપડનો હોલસેલનો વ્યવસાય કરતા હતા. તેમના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

(11:50 am IST)