Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

નેચરલ ગેસ પર તૈયાર થશે પ્રથમ જ્‍યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ

વડાપ્રધાનની દિર્ધદ્રષ્‍ટિ હેઠળ આધ્‍યાત્‍મ અને આધુનિકીકરણનું અદ્‌ભૂત સમન્‍વય બની રહ્યું છે યાત્રાધામ સોમનાથ : પ્રસાદ બનાવવાના રસોડા અને નિઃશુલ્‍ક ભોજનાલયમાં બનશે પર્યાવરણ અનુラકૂળ સુરક્ષિત ગેસ પુરવઠા આધારિત રસોઇ

વેરાવળ - પ્રભાસ પાટણ તા. ૨૧ : વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્‍ટ વિશ્વભરમાં આધ્‍યાત્‍મિક ચેતનાનો પ્રસાર કરી રહ્યું છે અને વડાપ્રધાનની દિધદ્રષ્ટિ સાથે સોમનાથ આધ્‍યાત્‍મ અને આધુનિકીકરણનું અદભુત સમન્‍વય બન્‍યું છે. આ જ આધુનિકીકરણમાં ઉમેરો કરતા હવે સોમનાથ મંદિરનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે. જે હેતુસર આઈઆરએમ એનર્જી દ્વારા બે પ્રસાદ રસોડા અને નિઃશુલ્‍ક ભોજનાલયમાં પાઇપ્‍ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કરવામાં આવ્‍યો છે. જેનું ઉદ્‍ઘાટન સોમનાથ ટ્રસ્‍ટ સેક્રેટરી શ્રી યોગેન્‍દ્રભાઈ દેસાઈ અને આઈઆરએમ એનર્જીના સીઈઓ શ્રી કરન કૌશલ દ્વારા શ્રદ્ધાળુઓની હાજરીમાં કરવામાં આવ્‍યું હતું.ᅠ

આઈઆરએમ ગેસ વિતરણ કંપનીએ ટ્રસ્‍ટના રસોડામાં પાઇપ્‍ડ નેચરલ ગેસ સપ્‍લાય કરવાનું શરૂ કર્યુ છે. જેમાં બે પ્રસાદ બનાવવાના રસોડા અને જયાં યાત્રાળુઓને નિઃશુલ્‍ક ભોજન ઉપલબ્‍ધ થાય છે તે ભોજનાલયમાં પર્યાવરણ અનુકૂળ અને સુરક્ષિત ગેસ પુરવઠાની જાહેર સેવાઓ દ્વારા હજારો યાત્રીઓને જોડવામાં એક મહત્‍વપૂર્ણ પગલું બનશે. નોંધનીય છે કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ટ્રસ્‍ટના રસોડા દ્વારા નિઃશુલ્‍ક ભોજનનો લાભ લે છે.

શ્રી સોમનાથ મંદિર પ્રત્‍યેની શ્રદ્ધા અને સેવામાં આઇઆરએમ એનર્જીએ કોઈપણ ગેસ સિક્‍યોરિટી ડિપોઝિટ લીધા વિના ટ્રસ્‍ટના તમામ ૭ રસોડામાં સમગ્ર આંતરિક ગેસ પાઇપલાઈનની સંપૂર્ણ વ્‍યવસ્‍થા પણ કરેલ છે. આ તકે ટ્રસ્‍ટી શ્રી પી.કે.લહેરીએ નેચરલ ગેસ પાઈપલાઈન દ્વારા મંદિર સંકુલને જોડવાના કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ તકે સોમનાથ ટ્રસ્‍ટ જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત શ્રી સોમનાથ ટ્રસ્‍ટના અધિકારીઓ તેમજ આઇઆરએમ એનર્જીના શીર્ષ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા

(11:24 am IST)