News of Wednesday, 21st September 2022
જામનગર,તા.૨૧: શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિરમાં તા. ૨૩ થી ૨૫ દરમિયાન ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાકટ્ય મહોત્સવના ઉપલક્ષ્યમાં ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે .જામનગર શહેર શ્રી પ્રાણનાથજીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે .
મહામતિશ્રી પ્રાણનાથજીનો જન્મ જામનગરમાં વિક્રમ સંવત ૧૬૭૫ ભાદરવા વદ ચૌદશને રવિવાર (૬ સપ્ટેમ્બર - ૧૬૧૮ ) ના રોજ જામરાજાના દીવાન કેશવરાયજીને ત્યાં થયો હતો . તેઓએ જામનગરથી પન્ના (મ.પ્ર.) સુધી ધર્મયાત્રા કરી સામાજિક જાગૃતિ , ધાર્મિક ચેતના અને રાજનીતિ ક્ષેત્રે નવા ક્રાંતિકારી મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે. ધર્મપ્રચાર યાત્રા દરમ્યાન ૧૮૭૫૮ ચોપાઈઓ પ્રકટી હતી. તેમનું સંકલન ‘શ્રી તારતમ સાગર'માં થયું છે . માનવીના આધ્યાત્મિક ઉત્થાનની સાથો-સાથ સમાજ સુધારણાનો ઉપદેશ આપી વિશ્વ ધર્મની બુનિયાદ ખડી કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને વિશ્વ કલ્યાણના મહાન સંદેશ દ્વારા વ્યક્ત કરી માનવ જાતને સાતા આપવાનો પ્રયત્ન કર્યો હતો .
પ્રતિવર્ષે મહામતી શ્રી પ્રાણનાથજીની જન્મ જયંતી જામનગરમાં દેશ - વિદેશના હજારો ભાવિક ધર્મપ્રેમી ભક્તોની હાજરીમાં ઉજવાય છે. આ વર્ષે પણ તા.૨૩ સપ્ટેમ્બર,૨૦૨૨થી ત્રિ દિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ નો પ્રારંભ થનાર છે. આ મહોત્સવના પ્રારંભે ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ સહિતના રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવના બીજા દિવસે તા. ૨૪ સપ્ટેમ્બર,૨૦૨૨ રોજ સવારે ૧૦ કલાકે પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ થશે ત્યાર બાદ બપોરે ૪ કલાકે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થશે જે શોભાયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મ સ્થાન શ્ન શ્રી પ્રાણનાથ મેડી મંદિર' થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુનઃ ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થશે.
તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ ને રવિવારના રોજ ‘શ્રી તારતમ સાગર'ના શ્રી ૧૦૮ પારાયણની સવારે ૧૦:૩૦ વાગ્યે પૂર્ણાહુતિ થશે. તેમજ તા . ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ ને ગુરુવારના રોજ મહામતી શ્રી પ્રાણનાથજી નો છઠ્ઠી ઉત્સવ ઉજવવામાં આવશે .ᅠ
જામનગરમાં આયોજિત ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ દરમિયાન સવારે ૯ થી ૧૧:૩૦ શ્રી તારતમવાણીની ચર્ચા થશે . બપોરે ૪ થી ૬:૩૦ સત્સંગ પ્રવચનો અને રાત્રે ભજન સંધ્યા , રાસ - ગરબા , ધાર્મિક નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર શહેર , જિલ્લા તેમજ બહાર ગામના વિશિષ્ટ અતિથિઓને આમંત્રિત કરવામાં આવેલ છે. સાથોસાથ ભારતના વિવિધ રાજયો તથા નેપાળ , ભૂતાન , સિક્કિમ તેમજ વિદેશથી બહોળી સંખ્યામાં અનુયાયીઓ - સુંદરસાથજી હાજરી આપશે.
ધાર્મિક વ્યાખ્યાનોમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજશ્રી તથા સમગ્ર ભારતભરમાંથી પધારેલા સંતોના વ્યાખ્યાનો અને શ્રી તારતમ સાગરની ચર્ચા થશે. આ મહોત્સવના સુચારુ સંચાલન - વ્યવસ્થા માટે ટ્રસ્ટીઓની રાહબરી નીચે વિવિધ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. આ આધ્યાત્મિક મહોત્સવની જ્ઞાનગંગામાં પાવન થવા સુંદરસાથજી, ધર્મપ્રેમી ભક્તોને સાદર અનુરોધ કરવામાં આવે છે.