Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબીમાં વૃધ્‍ધે ઝૂલતો પૂલની પ્રતિકૃતિ બનાવી પૌત્રના લગ્નના માંડવામાં મૂકી : મૃતકોને શ્રધ્‍ધાંજલિ આપી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને આટલા દિવસો વીત્‍યા બાદ હજુ લોકો એ ગોઝારી દુર્ઘટનાને ભૂલી શક્‍યા નથી ત્‍યારે મોરબીમાં પૌત્રના લગ્ન હોવાથી દાદાએ ઝુલતાપુલની કૃતિ બનાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી માત્ર એક ચોપડી ભણેલા દાદાએ પોતાની કોઠાસૂઝથી અનોખી કૃતિ બનાવી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્‍તારમાં વરીયાનગરમાં રહેતા કાનજીભાઈ મોહનભાઈ બારેજીયા નામના વૃદ્ધે પોતાના પૌત્રના લગ્ન હોવાથી ઝૂલતો પુલ દુર્ઘટનાને ધ્‍યાને લઈને ઝૂલતો પુલની કૃતિ તૈયાર કરી હતી તેમના વિસ્‍તારમાં એક પરિવારના ત્રણ સભ્‍યો આ દુર્ઘટનામાં મૃત્‍યુ પામ્‍યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા રાજવી પરિવારે જેવો પુલ બનાવ્‍યો હતો તેવી કૃતિ બનાવવાનું નક્કી કર્યું હતું તેઓ વર્ષોથી કેબીન બનાવી લે વેચ તેમજ ભાડે આપવાનો ધંધો કરી રહ્યા છે અને ભંગારની ચીજવસ્‍તુનો સદુપયોગ કરી પોતાની કોઠાસૂઝથી ઝૂલતો પુલ બનાવ્‍યો હતો.

ભંગારમાંથી મળેલ એલ્‍યુમીનીયમ, લોખંડ, પીતલ, તાંબુ વગેરેનો ઉપયોગ કરી ઝુલતા પુલની કૃતિ બનાવી હતી જેમાં બંને બાજુએ ટાવર, વચ્‍ચે કેબલ વાયર, લાકડા, બંને સાઈડમાં જાળી બનાવી સાત દિવસમાં ઝુલતા પુલની કૃતિ તૈયાર કરી હતી અને પૌત્ર ભૌમિકના લગ્ન વરિયા મંદિર વાડીમાં રાખ્‍યા હતા અને લગ્ન પ્રસંગે ગેટ પર આ કૃતિ રાખી હતી ત્‍યારે દરેક મહેમાનોએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

(10:21 am IST)