Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સુરેન્‍દ્રનગરમાં નરેન્‍દ્રભાઇ : ખંભાળીયા-કોડીનાર-માળીયા હાટીનામાં સભા ગજવતા અમિતભાઇ

રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિધાનસભા ચુંટણીનો માહોલ જામ્‍યોઃ રાષ્‍ટ્રીય નેતાઓ પ્રચારમાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર૧: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે સુરેન્‍દ્રનગરમાં જયારે કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ આજે ખંભાળીયા, કોડીનાર અને માળીયા હાટીનામાં જાહેરસભા ગજવશે.

સુરેન્‍દ્રનગર દુધરેજ નજીક વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની જંગી જાહેરસભાનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. જાહેરસભાના સ્‍થળે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.આજે બપોરે ૧૨ વાગ્‍યે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સુરેન્‍દ્રનગરના આંગણે પધારશે અને સભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સભાને લઇને ૬ ડીએસપી, ૧૧ ડીવાયએસપી, ર૬ પીઆઇ, ૭૧ પીએસઆઇ, ૧૩૪ એસઆરપી સહીત અંદાજે ૧૨૦૦૦થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડે પગે બંદોબસ્‍તમાં તૈનાત રહેશે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા  દ્વારકા જિલ્લામાં ખંભાળીયાની ૮૧ વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરાના સમર્થનમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભાનનું આયોજન કરવામાં આવ્‍યું છે. ખંભાળીયાના શકિતનગર વિસ્‍તારમાં આજે સોમવારના રોજ સવારે ૧૦ કલાકે શિરેશ્વર મહાદેવ મંદિર પાસે ભાજપ દ્વારા જંગી સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ખંભાળીયા વિધાનસભામાં આ વખતે ભાજપના પૂર્વ મંત્રી મુળુભાઇ બેરા, કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્‍ય વિક્રમ માડમ તેમજ આપના મુખ્‍યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ચૂંટણી મેદાને છે ત્‍યારે આ વખતે ત્રિપાંખિયા જંગમાં ખરાખરીનો મુકાબલો જામ્‍યો છે. ત્રણેય પક્ષો અને ઉમેદવારો, કાર્યકરો દ્વારા જીત માટે ડોર ટુ ડોર, સભાઓ અને સોશિયલ મીડિયા દ્વારા જોરશોરથી પ્રચારનો પ્રારંભ શરૂ થયો છે.

(11:42 am IST)