Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યકિતને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો મળશે લાભ : આજે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસે કામગીરીનો પ્રારંભ : તા. ૧લી ઓગસ્ટના મંત્રી આર.સી.ફળદુના જન્મદિવસે પૂર્ણ કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૨ : જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા કોરોના કાળમાં જામનગરવાસીઓને મદદરૂપ થવા પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવવાની પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. જે અંગેની વિગતો આપવા કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમે પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવ્યું હતું કે સદીની સૌથી મોટી મહામારી પુરવાર થયેલ કોરોનાએ જામનગર , ગુજરાત અને દેશમાં અનેક પરિવારોને નોંધારા બનાવ્યા છે , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યકુશળતાથી તથા મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આપણા ગુજરાતમાં કોરોનાથી ઓછામાં ઓછી લોકોને તકલીફ પડે તે માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે . આ કપરા કાળમાં જામનગર શહેરમાંથી ચુંટાયેલા બંને ધારાસભ્યો અને રાજયસરકારમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવતા આર.સી.ફળદુ તથા  ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) અને જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમે જામનગર શહેરની પ્રજાની બાજુમાં ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે, આજે તા. ૨૨ના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ છે અને આર.સી.ફળદુનો તા. ૧.૮.૨૦૨૧ ના રોજ જન્મદિવસ છે આ બંને પ્રજાના પ્રતિનિધિઓના જન્મદિવસને નિમિત બનાવી જામનગર શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યકિતનો (કમાનાર વ્યકિત) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ રૂ. ૨ ( બે ) લાખનો વીમો લેવાનું નક્કી કરેલ છે . જામનગર શહેરમાં આશરે એક લાખ વીસ હજાર પરિવાર વસવાટ કરે છે . જે મુજબ દરેક પરિવારની મુખ્ય વ્યકિત ગણીએ તો અંદાજે એક લાખ વીસ હજાર વ્યકિતઓનું જે પ્રીમીયમ ભરવાનું થશે તે તમામ રકમ ઉપરોકત બંને ધારાસભ્યોશ્રી અને સાંસદશ્રી અંગતરીતે ભરી આપશે અને આ રીતે દરેક પરીવારને રૂ .૨ (બે) લાખના અકસ્માત વીમાનું કવચ મળશે. લોકો માટે લાભકારી આ યોજનાનો શુભારંભ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના જન્મદિવસ આજે તા. ૨૨ના રોજ કરવામાં આવ્યો અને શ્રી આર.સી.ફળદુના જન્મદિવસ તા .૧.૮.૨૦૨૧ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.  પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ( પીએમએસબીવાય) મળવાથી વિધાનસભા વિસ્તારના તમામ પરિવારના લોકોને લાભ મળશે એ બાબત નોંધપાત્ર છે . નક્કી કરાયા મુજબ આ યોજના હેઠળ ૭૮ - વિધાનસભા મત વિસ્તારના દરેક પરિવાર દીઠ એક વ્યકિતનો રૂ.બે લાખ સુધીનો અકસ્માત વીમો ઉતારવામાં આવશે.

અને એક વર્ષનું સંપૂર્ણ પ્રિમિયમ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા તથા સાંસદ પુનમબેન માડમ દ્વારા ભરી દેવામાં આવશે . ૭૯ - વિધાનસભા મત વિસ્તારના દરેક પરિવાર દીઠ એક વ્યકિતનો રૂ.બે લાખ સુધીનો અકસ્માત વીમો ઉતારવામાં આવશે અને એક વર્ષનું સંપૂર્ણ પ્રિમિયમ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ તથા સાંસદ પુનમબેન માડમ દ્વારા ભરી દેવામાં આવશે . જામનગર શહેરના દરેક કુટુંબની કોઈપણ વ્યકિત તેના પરિવારના મુખ્ય વ્યકિતનું ફોર્મ ભરીને વીમો કરાવી શકશે , આ યોજનામાં ૧૮ વર્ષથી લઈને ૭૦ વર્ષ સુધીની વ્યકિતનો વીમો અર્થાત સુરક્ષા કવચ મેળવીને લાભાન્વિત થઈ શકાશે. યોજનાની વિશેષતા એ છે કે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં બેંકમાં પ્રિમિયમ ભરાતાની સાથે બીજા દિવસથી જ અકસ્માતમાં મૃત્યુના સંજોગોમાં બે લાખની રકમ મળશે. આ ઉપરાંત બન્ને આંખમાં, બન્ને હાથમાં, બન્ને પગમાં અકસ્માતથી જો કોઈપણ નુકસાન થાય તો પણ બે લાખની રકમ મળી જશે અને એક આંખ, એક પગ કે એક હાથમાં કાયમી ખોટ જો અકસ્માતથી થઈ જાય તો એવી વ્યકિતને એક લાખની વીમાની રકમ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માંગતી વ્યકિત દ્વારા પોતાના આધાર કાર્ડની ઝેરોક્ષ, બેંકની પાસબુકની ઝેરોક્ષ અથવા પોતાના ખાતાના કેન્સલ ચેકની ઝેરોક્ષ તથા એક ફોટો આપવાનો રહેશે અને નોમીનીના આધારકાર્ડની ઝેરોક્ષ તથા ફોટો સાથે લાવવાનો રહેશે. વીમા યોજનાનો લાભ જામનગર શહેરના પ્રત્યેક પરિવારજનો સરળતાથી લઈ શકે એ માટે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ, મહામંત્રી અને કોર્પોરેટરશ્રીઓની ટીમ દરેક વોર્ડમાં બનાવવામાં આવી છે, જે દરેક વિસ્તારમાં જઈ પરિવારોના મુખ્ય વ્યકિતના ફોર્મ ભરશે તથા મંત્રીશ્રીના કાર્યાલય ખાતે લોકો પોતાના ફોર્મ ભરાવી શકશે. તા.૨૨.૫.૨૦૨૧ એટલે કે, રાજયમંત્રી હકુભા જાડેજાના જન્મદિવસે ૭૮ - જામનગર વિધાનસભાના લોકો માટે થનારી આ યોજના તા.૧.૮.૨૦૨૧ એટલે કે, કેબિનેટ મંત્રી આર.સી. ફળદુના જન્મદિવસ સુધી ચલાવવામાં આવશે, સારો એવો સમય ફાળવવામાં આવ્યો છે તેનો હેતુ એ જ છે કે , વધુને વધુ લોકો યોજનાનો લાભ લઈ શકે. યોજના સંબંધે કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ તેમજ રાજયમંત્રી હકુભા જાડેજા અને સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે , છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની જીવલેણ મહામારી દરમિયાન અમે એવા - એવા હૃદયદ્રાવક દ્રશ્યો જોયા છે, જેને કદાચ અમે ભૂલી શકીશું નહીં, સ્વજનના મૃતદેહની સામે ચોધાર આંસુએ રડતાં પરિવારજનોના એ આકંદને વિસરી શકાય તેમ નથી, આ બધું જોયું ત્યારે જ મનોમન એવું નક્કી કર્યું હતું કે, મારા મત વિસ્તારના તમામ પરિવારોને ખાસ કરીને આકસ્મિક મૃત્યુ સમયે રાહત મળે એવું કંઈક કરવું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દેશવાસીઓ માટે બનાવવામાં આવી એટલે આ યોજનાનો પૂરેપૂરો લાભ જામનગર શહેરના બંને વિધાનસભા વિસ્તારના પ્રત્યેક પરિવારજનોને મળે એવો સંકલ્પ કર્યો હતો . જેથી કરીને આકસ્મિક સમયે આવી પડેલાં દુઃખ વખતે લોકોને આર્થિક રીતે લાભ મળી શકે.

આ તકે મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, સાશક પક્ષના નેતા  કુસુમબેન પંડ્યા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણીયા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:47 pm IST)