Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

પાકિસ્‍તાનની જેલમાં ૩-૪ વર્ષથી કેદ માછીમારોને છોડી દેવાયા પરંતુ ઉના પંથકના માછીમારોને મુકત કરાતા નથી

પાકિસ્‍તાનની કરાંચી જેલમાં સજા ભોગવતા માછીમારનો સામાજિક આગેવાન રસીકભાઇ ચાવડાને દર્દભર્યો પત્રઃ લાંબા સમયથી કેદ માછીમારોને કોર્ટમાં રજુ કરાતા નથીઃ સજા પુરી થયા છતાં છોડવાની કાર્યવાહી કરાતી નથી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૩: પાકિસ્‍તાનની કરાંચી જેલમાં સજા ભોગવતા ઉના પંથકના માછીમાર ભરતભાઇ બાંભણિયાએ ઉનાના સામાજિક કાર્યકર રસીકભાઇ ચાવડાને દર્દભર્યા મોકલેલા પરમાં જણાવ્‍યું છે કે, પાકિસ્‍તાનની જેલમાં જળસીમા પાસેથી અપહરણ કરેલ માછીમારોની સજા પૂરી થતાં કોર્ટમાં રજૂ કરીને સમયાંતરે છોડી દેવાય છે પરંતુ કોઇ કારણથી ઉના પંથકના માછીમારોને લાંબા સમયથી સજા કાપી રહેલ છે છતાં તેમને કોર્ટમાં રજુ કરવામાં આવતા નથી અને અન્‍યાય કરવામાં આવે છે. આ પત્રમાં પાકિસ્‍તાનની જેલમાંથી વહેલી તકે છોડાવવા માંગણી કરાય છે.

 

અખિલ ભારતીય કોળી સમાજ ના ઙ્કદેશ મહામંત્રી રસિકભાઇ ચાવડા એ ભારત ના વડાપ્રધાન અને વિદેશ મંત્રાલય ને પત્ર લખી જણાવ્‍યું છે કે  ગુજરાતના વિશાળ દરિયાકાંઠે કોળી ખારવા મુસ્‍લિમ સમાજ જેવા સમાજો માછીમારીના વ્‍યવસાય સાથે સંકળાયેલ છે. માછીમારી આ વિસ્‍તારના લોકોને રોજગારીનું સાધન છે.ભારત પાકિસ્‍તાન જળસીમાં નજીક માછીમારી કરવા સમયે અજ્ઞાનતા અને દિશાહીન થવાને કારણે પાકિસ્‍તાન  જળસીમા માં પહોંચી જવાય છે. ત્‍યાં પાકિસ્‍તાન મરીન  દ્વારા આ માછીમારોને બંદીવાન બનાવી જેલમાં કેદ કરવામાં  આવે છે.

 

આવા માછીમારો   સમયાંતરે ભારત પાકિસ્‍તાન ના આંતરરાષ્‍ટ્રીય કરારના નિયમ અનુસાર છોડવામાં આવતા હોય છે. પરંતુ હાલમાં પાકિસ્‍તાન જેલમાંથી એક પત્ર માછીમાર ભરતભાઈ બાભણીયા નામના માછીમારે પાકિસ્‍તાન જેલમાંથી લખેલ છે. અને તેમાં જણાવેલ છે કે કુલ ૧૮૩ માછીમારોને ક્‍લિયરન્‍સ મળી ગયું છે જેમાં ૧૪૮ જૂના માછીમારો ( ૨૦૨૧ /૨૨ ) ના છે તેઓને ૧૪૪ માછીમારોને ત્‍યાંની કોર્ટે ૧૮/૨/૨૩ ના રોજ ક્‍લિયરન્‍સ આપી દીધું છે. ત્‍યારબાદ આ માછીમારોને કોર્ટમાં લઈ જવામાં આવતા નથી. કોર્ટને એવી જાણકારી છે કે આ માછીમારોને છોડી દેવામાં આવ્‍યા છે. ત્‍યારે જેલ અધિકારીઓ દ્વારા આ માછીમારો ને  આજ દિન સુધી છોડવામાં આવ્‍યા નથી તેવું પત્રમાં જણાવેલ છે.

અમુક માછીમારો જેલ પ્રશાસન દ્વારા છુપાવી રાખવામાં આવ્‍યા છે અમુક માછીમારો છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેદ  છે.તેમની પાછલ પકડાયેલ માછીમારોને છોડી નાખવામાં આવ્‍યા છે પરંતુ આ માછીમારોને હજી સુધી છોડવામાં આવ્‍યા નથી.આ માછીમારો શારીરિક  અને માનસિક રીતે બીમાર પડ્‍યા છે. ત્‍યારે આ છુપાયેલ માછીમારોને છોડાવવામાં માટે પાકિસ્‍તાન જેલમાંથી પત્ર લખવામાં આવેલ છે.

સામાજિક આગેવાન રસિકભાઇ ચાવડા દ્વારા પત્ર માં  ભારત સરકાર દ્વારા પાકિસ્‍તાન ની અલગ-અલગ જેલોમાં કેદ ગુજરાતના માછીમારોને  પાકિસ્‍તાન સ્‍થિત ભારત દુત્તાવાસ ના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા તપાસ થાય અને જેલ અધિકારીઓ દ્વારા છૂપાવી રાખેલ માછીમારો ની  ઓળખ કરી તેની વહેલી તકે છોડવામાં આવે  તેવી માંગ કરી છે.

પાકિસ્‍તાનમાં કેદ માછીમાર ભરતભાઇ બાંભણિયા દ્વારા અનેક રાજકીય આગેવાનો સુધી આ પત્ર પહોંચાડવા માંગ કરી હતી અને તેમાં ખાસ કરીને કોળી સમાજના આગેવાન એવા રસિક ચાવડા સુધી આ પત્ર પહોંચાડવા વિનંતી કરી હતી.આ અગાઉ શ્રી ચાવડાએ અનેક વખત માછીમારો માટે રજૂઆત કરી હતી અને તત્‍કાલીન રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ સાહેબને રૂબરૂ મળીને પણ માછીમારોને છોડાવવા માટે રજૂઆત કરી હતી.

 

(11:25 am IST)