Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

જામનગરના હિતેશભાઇ દાવડાની બે કિડની, એક લીવર અને એક ફેફસાને જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરાશે

જામનગર : જામનગરના ૪૪ વર્ષીય હિતેશભાઇ દાવડાના પરિવારજનોએ  સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે હિતેશભાઇ દાવડાના અંગોનું દાન કરી અન્યોના જીવનમાં ઉજાસ પાથર્યો છે. હિતેશભાઇ દાવડા સતત ૩ દિવસથી માથામાં અતિગંભીર દુઃખાવાની તકલીફથી પીડાઇ રહ્યા હતા. ૬ િ઼ડસેમ્બરના રોજ ઘરમાં એકાએક ઢળી પડતા જામનગરની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા. ત્યાંના તબીબોને પરિસ્થિતિ અતિગંભીર જણાતા હિતેશભાઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા જણાવવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે ૨૦ મી ડિસેમ્બરના રોજ તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા.

હિતેશભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા SOTTOની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા. પરિવારજનોએ પણ અંગદાનની સંમતિ આપતા બ્રેઇનડેડ હિતેશભાઇના એપ્નીયા ટેસ્ટ કરવામાં આવ્યા. જે જરૂરી માપદંડો પ્રમાણે બંધબેસતા ૨૨ મી ડિસેમ્બરે તેમના અંગોના દાન સ્વીકારવામાં આવ્યા.

હિતેશભાઇના અંગોના દાન માટે ફેફસાની જોડમાંથી એક ફેફસું મળ્યુ. જેને પ્લાસ્ટીક સર્જરી વિભાગની ટીમ અને અંગોના રીટ્રાઇવલની ટીમ દ્વારા ભારે જહેમત ઉપાડી સફળતાપૂર્વક રીટ્રાઇવ કરીને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે દિલ્હી મોકલવામાં આવ્યું. જયારે તેમની બે કિડની અને એક લિવરને સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા. આમ, હિતેશભાઇના અંગોથી અન્યોના જીવનમાં ઉજાસ પથરાયો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ And Tissue Transplant Organisation)ની ટીમે રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના એક વર્ષમાં અંગદાનની જનજાગૃતિ સાથે કામગીરીને ઉચ્ચ સ્તરે લઇ જઇ તેમની કર્તવ્યનિષ્ઠા અને સેવાનું ઉત્ત્।મ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં કુલ ૨૫ વ્યકિતઓના અંગદાનથી મળેલા ૮૬ અંગો થકી ૭૨ વ્યકિતઓને નવજીવન મળ્યું છે. આ તમામ જરૂરિયાતમંદ વ્યકિતઓ લાંબા સમયથી શારિરીક પીડામાંથી પસાર થઇ રહ્યા હતા. ઘણાં દર્દીઓ એવા હતા કે દિવસના ૨૪ કલાકમાંથી ૮ થી ૧૦ કલાક હોસ્પિટલમાં પસાર કરીને કિડની અને લીવર તેમજ હૃદયની સારવાર કરાવતા હતા.જેમને સિવિલ હોસ્પિટલમાં થયેલ અંગદાન થકી મળેલા અંગોથી દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાયો છે.

સિવિલ હોસ્પિટલમાં મળેલા અંગોના દાનની વિગતો જોઇએ તો અત્યાર સુધીમાં ૨૫ વ્યકિતઓના અંગોમાં ૨૩ લીવર, ૪૧ કિડની, ૫ સ્વાદુપિંડ, ૫ હૃદય, ૨ હાથ અને ૫ જોડ ફેફસાના અંગોનું દાન મળ્યું છે. તેની સાથો સાથ ૪૦ આંખોનું પણ દાન મેળવવામાં સફળતા મળી છે.

સિવિલ હોસ્પિટલમાં એક વર્ષ થયેલ અંગદાન દર્શાવે છે કે શહેર અને રાજયમાં અંગદાનની ચળવળ વેગવંતી બની છે. લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃકતા વધી રહી છે. આજે સૌના સહિયારા પ્રયાસે લોકો એકબીજાને મદદ માટે વ્હારે આવી રહ્યા છે. અંગદાન જેવું પવિત્ર દાન થકી જ વ્યકિત અમરત્વને પામે છે.(૨૧.૧૭)

સંકલન : અમિતસિંહ ચૌહાણ, દિવ્યા ત્રિવેદી, માહિતી બ્યુરો, જામનગર

(12:48 pm IST)